ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની ભારે અછત ઊભી થઈ છે ત્યારે PM કેયર્સ ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવા માટે પીએમ મોદીએ આદેશ આપ્યા છે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
પીએમ મોદીનો વધુ એક મોટો નિર્ણય
PM CARES ફંડમાંથી ઊભા કરવામાં આવશે ઑક્સીજન પ્લાન્ટ
દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે ઑક્સીજનની અછતને દૂર કરવા માટે પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે. PM દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે PM CARES ફંડમાંથી 551 ઑક્સીજન પ્લાન્ટ (Pressure Swing Adsorption Medical Oxygen Generation Plants) ઊભા કરવામાં આવશે.
સરકારી હોસ્પિટલોને મોટી મદદ
પીએમ મોદીના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર આ પ્લાન્ટને વહેલમાં વહેલી તકે ઊભા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને આ પ્લાન્ટ રાજ્યોના જિલ્લા મુખ્યાલયમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવશે. PMOએ જણાવ્યું કે ખરીદી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માધ્યમથી કરવામાં આવશે.
કોરોના વાયરસના દર્દીઓને મળશે રાહત
નોંધનીય છે કે આ પ્રકારના પ્લાન્ટની હાલમાં દેશમાં ખૂબ જરૂર છે. હોસ્પિટલોમાં ઑક્સીજન માટે આ પ્લાન્ટ મદદરૂપ બનાઈ રહેશે. PMOએ કહ્યું કે આ પ્રકારની પ્રણાલી લાંબા સમય સુધી સરકારી હોસ્પિટલોમાં ઑક્સીજન આપૂર્તિ સુનિશ્ચિત કરશે અને અચાનક ઊભી થતી મુશ્કેલીનો સામનો પણ કરી શકાશે.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (25 એપ્રિલ, 2021)
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.