હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. રોજબરોજ વિવિધ મુદ્દાઓને લઈને વિધાનસભામાં આપણાં પ્રતિનિધિઓ ચર્ચા કરતાં હોય છે. જો કે બુધવારે તો એવી ચર્ચા પણ ઉઠી હતી કે 182માંથી માત્ર 40 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. અર્થાત્ બધા ધારાસભ્યો પણ હોળીની રજાના મૂડમાં હતા. ગઈ કાલે થોડા વધુ ધારાસભ્યો હાજર હોય વિવિધ ચર્ચાઓ દરમિયાન નીતિન પટેલ ચર્ચાનો મુદ્દો બન્યા હતા.
29 ફેબ્રુઆરીએ વિશ્વઉમિયાધામના કાર્યક્રમમાં નીતિન પટેલ એવું બોલ્યા કે ‘હું એકલો છું...’ ત્યારથી કોંગ્રેસ હોય કે ભાજપ બધાના મુખે એક જ નામ છે નીતિનભાઈ. ગઈકાલે પણ વિધાનસભામાં ચર્ચા ચાલતી હતી ત્યાં જ સ્વયંમ નીતિનભાઈએ એવી વાત કરી કે કોંગ્રેસનું રાજ યાદ આવી ગયું.
રાજ્યના ગૃહવિભાગની ચર્ચા ચાલતી હતી ત્યાં જ નીતિનભાઈ બોલ્યા કે, "ભાઈ તમારા શાસનમાં ય કઈ પોલીસ માયાળું ન હતી. અમને ખબર છે. નવનિર્માણ આંદોલન વખતે અમને પોલીસે એવા માર્યા હતાં કે, લોહીલૂહાણ કરી મૂક્યા હતાં. આજેય શિયાળો આવે છે ને, તો બધું યાદ આવી જાય છે. રામમંદિર વખતે ય અમને કોણે માર્યા હતાં તે પણ અમને ખબર છે." આમ કહીને, કોંગ્રેસના વખતમાં પોલીસના હાથે માર ખાધો છે તે વાત ગૃહમાં વર્ણવી હતી.
વિધાનસભા ગૃહમાં હાલ એવી ટિપ્પણીઓ, માંગણીઓ થઈ રહી છે જે દરરોજ ચર્ચાનો વિષય બની રહ્યો છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની હૈયાવરાળ ગૃહમાં જણાવી, સાથે સાથે સંતોકબેન અરેઠિયાએ પ્રશ્ન વાંચ્યોને ધારાસભ્યોએ તાળી પાડી તેમને વધાવ્યા હતા.
વિધાનસભામાં ઓછું ભણેલા ધારાસભ્યોની સંખ્યા ઘણી છે પરંતુ રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાને સહેજ પણ વાંચતા આવડતું ન હતું. જયારે તેમણે કાગળમાંથી વાંચીને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે સમગ્ર સભાગૃહે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે,"જ્યારે સંતોકબેને ધારાસભ્ય તરીકે શપથ લીધા ત્યારે જ તેમણે કહ્યું હતું કે મને વાંચતા આવડતું નથી. તે પછી તેમણે શીખવાના પ્રયાસ ચાલું રાખ્યા અને આજે તેમણે પ્રથમવાર વિધાનસભામાં પ્રશ્ન છે તે બદલ તેમને અભિનંદન આપું છું."