ગુજરાતનાં ગીર સોમનાથ જિલ્લાના એક ખેડૂત સાથે મેડિકલ-મિરેકલ જેવી ઘટના બની હતી. તૌકતે વાવાઝોડામાં આ ખેડૂતે પોતાની એકમાત્ર આંખ ગુમાવી દીધી હતી.
વાવાઝોડાં દરમિયાન ગુમાવી રોશની
અમદાવાદની હોસ્પિટલમાં થઈ સર્જરી
નનુભાઈની દુનિયા ફરી રંગીન બની ગઈ
ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાનાં કારણે સેંકડો લોકોને મોટાપાયે નુકસાન થયું હતું. ઘણાબધા ખેડૂતોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી દીધી હતી. આ ઉઝરડાઓ માંથી બહાર આવતા લોકોને વર્ષો લાગી જશે. પણ હવે એક ઘટના એવી સામે આવી છે કે જેમાં ખેડૂત સાથે મેડિકલ મિરેકલ જેવી ઘટના બની હતી.
વાવાઝોડાં દરમિયાન ગુમાવી રોશની
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત નાનુભાઈ સાવલિયાએ મે મહિનામાં તૌકતે વાવાઝોડામાં ઇજા થતાં પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. નનુભાઈએ નાનપણમાં જ એક આંખ ગુમાવી દીધી હતી અને જીવનના છ દાયકા એક આખનું જતન કરીને ગાળ્યા હતા. એવામાં વાવાઝોડામાં એમને તીક્ષ્ણ હથિયારથી ઇજા થવા પામી હતી અને તેમણે પોતાની બીજી આંખ પણ ગુમાવી દીધી હતી.
અમદાવાદની હોસ્પિટલમાં સર્જરી
આંખોની રોશની ગુમાવ્યા બાદ નાનુભાઈનું પોતાનું જીવન તો અંધકારમય બની ગયું હતું પરંતુ સાથે સાથે આખા પરિવાર માટે આ દૂ:ખ વેદનભર્યું હતું. લગભગ તમામ પરિવારજનોએ આશા છોડી જ દીધી હતી કે એક એવી ઘટના બની હતી જેણે તમામ પરિવારજનોનાં ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.
અમદાવાદની નેત્રાલય હોસ્પિટલમાં નાનુભાઈની સર્જરી કરાવવામાં આવી હતી. નાનુભાઈનાં જીવનમાં ફરીથી રંગો પરત લાવવા માટે કરવામાં આવેલો આ પ્રયત્ન સફળ રહ્યો હતો. 26 જુલાઇ નાં દિવસે નાનુભાઈની દુનિયા ફરીથી રંગીન બની ગઈ હતી.
ડોક્ટરે શું કહ્યું?
નેત્રાલય હોસ્પિટલના આંખોના નિષ્ણાંત તબીબ ડો. પાર્થ રાણાએ કહ્યું હતું કે,"તેમની આંખોમાં કૉર્નીયા ફાટી જવાનાં કારણે બ્લડ નીકળી જવાની સાથે સાથે કેટરેક્ટ પણ હતું. આ સ્થિતિ ખરેખર ખૂબ જ નાજુક હોય છે અને અમે ત્રણ ડોક્ટરોએ અનેક સર્જરી કરી હતી. સર્જરી થ્રી-ડી ટેક્નોલોજીથી કરવામાં આવી હતી. આ સર્જરી માત્ર એક જ સિટિંગમાં થઈ ગઈ હતી.
આ એક ચમત્કાર છે: નાનુભાઈ
નાનુભાઈ સાવલિયાએ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ પણ જોઈ શકતા નહોતા અનેવ તેમણે ફરી રોશની આવશે એવી આશા પણ છોડી દીધી હતી પરંતુ આ સર્જરી બાદ જાણે ચમત્કાર થયો અને તેઓ બધુ જ ફરી પહેલાંની જેમ જોઈ શકે છે. તેમણે ડૉક્ટરોનો આભાર માન્યો હતો.