મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3081 નવા કેસ નોંધાયા છે. ત્યારે 1323 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. એક્ટિવ કેસની સંખ્યા 13 હજાર 329 છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોના વાયરસના 3081 કેસ નોંધાયા
મુંબઈમાં આજે કોરોના વાયરસના 1956 નવા કેસ નોંધાયા
13000ને પાર પહોંચ્યા એક્ટિવ કેસ
એકલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. શહેરમાં આ દરમિયાન 763 દર્દી સાજા થયા છે. માત્ર મુંબઈમાં એક્ટિવ કેસ એટલે સારવાર કરાવી રહેલા લોકોની સંખ્યા 9191 છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોવિડ-19ના 2813 નવા કેસ નોંધાયા, જે છેલ્લા 4 મહિનામાં એક દિવસના સૌથી વધુ કેસ છે. કાલે પણ એક પણ દર્દીનું મોત થયું ન હતું. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 2701 કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાની હાલની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના એક દિવસમાં 7584 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4 કરોડ 32 લાખ 5 હજાર 106 પર પહોંચી છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 3 હજાર 719 દર્દી સ્વસ્થ થયા છે. તો 24 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસ 36 હજાર 267 થયા છે. દેશમાં કોરોનાથી કુલ 4 કરોડ 26 લાખ 44 હજાર 92 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 24 હજાર 747 પર પહોંચ્યો છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિકે વ્યક્ત કરી આશંકા
દેશમાં અને રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે WHOના મુખ્ય વૈજ્ઞાનિકો વધતા કેસોને લઈને ચિંતાજનક નિવેદન આપતા કહ્યું કે દેશના અનેક વિસ્તારોમાં ઓમિક્રોનના વેરિએન્ટ BA.4 અને BA.5 ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઈને દેશમાં ફરીવાર કોરોનાની નાની લહેર આવી શકે છે. ઉલ્લેખનીય છે કેટલાક દિવસોથી દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.