ટીમ ઈન્ડિયા (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પીઠની ઇજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો હતો. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે નિરાશાજનક છે.
બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને યુકેમાં જ સારવાર લેવાનું કહ્યું
ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થનાર જસપ્રીત બુમરાહ બાદનો બીજો ખેલાડી
હાર્દિકને એશિયા કપ દરમિયાન થઇ હતી પીઠની ઇજાની સમસ્યા
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ઈજા ગંભીર છે અને તે લાંબા સમય સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહી શકે છે. BCCIના એક સૂત્ર અનુસાર હાર્દિક જલ્દીથી ઈજાની સારવાર માટે યુનાઇટેડ કિંગડમ (ઈંગ્લેન્ડ) જશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન હાર્દિકને દુબઇમાં આ સમસ્યા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય છે અને તે પીઠમાં ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થનાર જસપ્રીત બુમરાહ બાદનો બીજો ખેલાડી છે. તેની ઈજા અંગે બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા બુધવારે યુનાઇટેડ કિંગડમ જવા રવાના થશે અને તે જ ડોક્ટર પાસે તેની સારવાર કરાશે જ્યાં એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ પ્રથમ વખત તેની સારવાર મળી હતી.
જો કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે તે બાંગ્લાદેશ સામેની આખી સિરીઝ ગુમાવશે અને તે ક્યારે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. આ વિશેની માહિતી ત્યારે જ મળશે જ્યારે તેઓ ત્યાંથી પાછા આવશે. તેની સારવાર માટે જર્મનીનો બીજો વિકલ્પ છે, પરંતુ બીસીસીઆઈએ તેમને યુકેમાં જ સારવાર લેવાનું કહ્યું છે.
એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે હાર્દિક પંડ્યા બેક સર્જરી કરાવી શકે છે અને જો આવું થાય તો તે પાંચ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. હાર્દિક પંડ્યાને ટીમની સ્પર્ધામાં યોગ્ય ન હોવાને કારણે તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ પછી, તે વિજય હઝારે ટુર્નામેન્ટમાં બરોડાની ટીમમાં નહોતો, જેની કૅપ્ટનશીપ કૃણાલ પંડ્યા કરી રહ્યો છે. આવામાં હાલ સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને સર્જરીમાંથી પસાર ન થવું પડે. જો આવું થાય છે તો, તેઓ 2020 આઈપીએલ પહેલા મેદાનમાં પાછો નહીં ફરી શકે.