બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કથાઃ પૂર્વે નાડિજ નામના દૈત્યે સ્વર્ગ ઉપર હુમલો કરી દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. બધા દેવ ભેગા થઈ ઈન્દ્ર સહિત શંકર પાસે જઈ નાડિજ દૈત્યના ત્રાસનું વર્ણન કરવા લાગ્યા. શંકરે સર્વ દેવને કહ્યું કે, ‘આપ વિષ્ણુ પાસે જાવ. તે જ તે દૈત્યને મારી શકે તેમ છે.’ ઈન્દ્ર તથા સ્વર્ગના તમામ દેવ વિષ્ણુલોકમાં ભગવાન શ્રીહરિ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે બેઠાં છે.
ઈન્દ્ર સહિત બધા દેવને આવેલા જોઈ ચિંતાતુર વદને ઈન્દ્રને પૂછે છે કે, ‘હે સુરેન્દ્ર, આપ સઘળા એકત્ર થઈ અત્રે કેમ પધાર્યા?’ ઈન્દ્ર તેમને નાડિજ સાથેના ત્રાસની વાત કરે છે. ભગવાન વિષ્ણુ બધા દેવને સાથે લઈ નાડિજ સાથે યુદ્ધ કરવા ચંદ્રાવતી જાય છે. નાડિજ બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો હોઈ અજેય હતો. દેવોને જોઈને તે યુદ્ધે ચડ્યો. બધા દેવ હારી ગયા. દશે દિશામાં બધા દેવ નાસી ગયા. વિષ્ણુ એકલા ઊભા હતા. તે જોઈ નાડિજ વિષ્ણુ સાથે યુદ્ધે ચડ્યો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ હજારો વર્ષ ચાલ્યું. અંતે વિષ્ણુ થાક્યા. તે પણ નાઠા. તે બદરિકાશ્રમ ભાગ્યા. ત્યાં જઈ હેમવતી નામની ગુફામાં સૂઈ ગયા. દૈત્ય તેમને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો. સૂતેલા વિષ્ણુને જોઈ તેમને મારવા ગયો. તે જ સમયે ભગવાનના શરીરમાંથી એક સુંદર દેવી પ્રગટ્યાં. તેમના હાથમાં હથિયાર હતાં. તે નાડિજ સાથે યુદ્ધ કરવા લાગ્યાં. દૈત્ય તે દેવીનો સામનો ન કરી શક્યો. અંતે તેમના હાથે મરાયો. તે દેવીએ નાડિજનું માથું કાપી લીધું. થાક ઊતરતા વિષ્ણુ ઉઠ્યા.
ADVERTISEMENT
તેમણે તેમની સામે સુંદર દેવી ઊભેલી જોયાં. તેમના હાથમાં દૈત્યનું માથું જોયું. તેમણે તે દેવીને પૂછ્યું, ‘હે સુશ્રોણી આપ કોણ છો? આ દૈત્યને કોણે માર્યો? દેવીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ આપ નિદ્રાધીન હતા ત્યારે આ દૈત્ય આપને મારવા આવ્યો. મેં તેને માર્યો છે.’ ભગવાન પ્રસન્ન થયા તેમણે તે દેવીને વરદાન માગવા કહ્યું તે દેવીએ પ્રભુને કહ્યું કે, ‘હે શ્રીહરિ આપ વરદાન આપવા જ માગતા હોય તો હું આપની પાસે એટલું માગીશ કે આપે આપના ભક્તનો મોક્ષ કરવો. જે જિતેન્દ્રિય ઉપવાસી હોય તેને આપે વૈકુંઠમાં વાસ આપવો. શક્તિએ પરોપકારી વરદાન માગ્યું. તેથી ભગવાન તેની ઉપર વિશેષ પ્રસન્ન થયા.
તેમણે તે શક્તિને વધારાનું વરદાન આપતાં કહ્યું કે, ‘હે દેવી આપે પરોપકાર માગ્યો તેથી હું આપને વધારાનું વરદાન આપું છું કે ‘આપ જગતમાં ઉત્ત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ થશો. જે આપનું વિધિવત્ પૂજન ઉપવાસ કરશે તેને હું એક કરોડ વર્ષ સુધી વૈકુંઠમાં રાખી મારો ભક્ત બનાવીશ.’ આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થયા. ત્યારથી ઉત્પત્તિ એકાદશી આ જગતમાં પ્રસિદ્ધ થઈ. આ દિવસે કષ્ટ લઈને પણ ઉપવાસ કરનારાનાં તમામ પાપ બળી જાય છે ને નિષ્પાપ થઈ અંતે વૈકુંઠમાં વાસ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.