બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી હાડકા મળ્યા, 20 હજાર લોકોના આરોગ્ય પર સવાલ
Last Updated: 01:14 PM, 14 August 2026
પંચમહાલ જિલ્લાના કાલોલમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પીવાના પાણીના સંપમાંથી ફરી હાડકા મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ સંપમાંથી અંદાજે 20 હજાર લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિમાં પાણીના સ્ત્રોતમાંથી હાડકા મળી આવતાં લોકોના આરોગ્ય તેમજ ધાર્મિક લાગણીઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘટના સામે આવ્યા બાદ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કાલોલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં લોકોના આરોગ્ય અને ધાર્મિક આસ્થા સાથે ચેડા કરનાર અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.

ADVERTISEMENT
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીનો આ સંપ છેલ્લા દોઢ વર્ષથી ખુલ્લી હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા સંપને સુરક્ષિત બનાવવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. દોઢ વર્ષ પહેલા સંપનું ઢાંકણું તૂટી ગયું હતું, પરંતુ ત્યારથી આજદિન સુધી તેને બદલવામાં આવ્યું નથી. જેના કારણે બહારનો કચરો, ગંદકી અને અન્ય વસ્તુઓ સરળતાથી સંપમાં જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ મામલે તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીનેશ દોષીએ જણાવ્યું હતું કે આજે દિવાનની વાડી વિસ્તારમાં આવેલા પાણીના સંપમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પાણીમાં ફ્લોરીનની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પાણી પીવા યોગ્ય છે કે નહીં તે જાણવા માટે નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ સંપની સફાઈ દરમિયાન હાડકા પણ મળી આવ્યા છે અને તે કોના છે તથા કેવી રીતે ત્યાં પહોંચ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.

ADVERTISEMENT
સ્થાનિક રહેવાસી દીપાબેન પરીખે જણાવ્યું હતું કે આ વિસ્તાર વોર્ડ નંબર 3માં આવે છે. તેમના કહેવા મુજબ છેલ્લા દોઢ વર્ષથી સંપનું ઢાંકણું તૂટેલું છે અને તેને યોગ્ય રીતે બંધ કરવાની કોઈ કોશિશ કરવામાં આવી નથી. જેના કારણે દરેક પ્રકારનો કચરો સંપમાં જાય છે અને આખા ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે આ બેદરકારી બદલ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયકુમાર પટેલે જણાવ્યું હતું કે પીવાના પાણીના સંપમાંથી મળેલા હાડકાની ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંપની સંપૂર્ણ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે આ હાડકા કોના છે અને કોણે સંપમાં નાખ્યા તેની તપાસ પણ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો : ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષીય કિશોરનું મોત, પરિવારના ચાર સભ્યો બીમાર
હાલ સમગ્ર મામલે કાલોલ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ પાણીના નમૂનાઓના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ પાણી પીવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે કે નહીં. ત્યાં સુધી લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.