કોરોના વાયરસના વધતા ખતરાને લઇને બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસના કારણે આઇપીએલ સસપેન્ડ
બીસીસીઆઇએ લીધો મહત્વનો નિર્ણય
ભારતમાં વધતા કોરોનાના કહેરને કારણે હવે આઇપીએલને સસપેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ ક્રિકેટરે રદ્દ કરવાની કરી હતી માગ
દેશ માટે અત્યારનો સમય ખુબ જ મુશ્કેલીભર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ કીડી-મકોડાની જેમ ઉભરાઇ રહ્યા છે તો બીજી તરફ આઇપીએલમાંથી પણ વિદેશી ખેલાડીઓ બહાર થઇ રહ્યા છે.
આવા સમયમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો છે પરંતુ બાયો બબલમાં આઇપીએલ મેચ જોશ સાથે રમાઇ રહી હતી પરંતુ હવે બાયો બબલ પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. કોરોનાએ બાયો બબલમાં ઘૂસણખોરી કરી છે. કોરોનાએ આ બાયો બબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી અને ચેન્નઇ સુપર કિંગ્ઝના સપોર્ટ સ્ટાફને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.
કેકેઆરમાં વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ 3 મેના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ રમાનારી મેચને સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના કેટલાક ગ્રાઉન્ડમેન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
બીસીસીઆઇ પર ઉઠ્યા સવાલ
સખ્ત નિયમો વચ્ચે પણ કોરોનાની એન્ટ્રી બાદ પૂર્વ ભારતીય ખેલાજી કીર્તિ આઝાદે તાત્કાલિક આઇપીએલ રોકવાની સલાહ આપી છે. કીર્તિ આઝાદે આઇપીએલમાં ખેલાડીઓની સુરક્ષાને મહત્વ આપવુ જોઇએ તેમ કહ્યું છે. તેમણે આ માહોલમાં પણ લીગને આગળ વધારવા માટે બીસીસીઆઇ પર સવાલ ઉઠાવ્યા છે.