બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 AM, 15 July 2026
ભારત અને યુકે વચ્ચેનો બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (India-UK FTA) આજથી એટલે કે 15 જુલાઈથી અમલમાં આવ્યો છે. આ કરાર બંને દેશો માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારત માટે આ સોદો ખૂબ જ મહત્વનો છે, કારણ કે હવે ભારતની લગભગ 99 ટકા નિકાસને બ્રિટનના બજારમાં ડ્યુટી-ફ્રી એટલે કે ઝીરો ટેરિફ સાથે પ્રવેશ મળશે. આ કરાર માત્ર વેપાર પૂરતો સીમિત નથી, પરંતુ રોજગાર, રોકાણ, ભારતીય વ્યાવસાયિકો અને ગ્રાહકો માટે પણ અનેક નવા અવસર ઉભા કરશે.
ADVERTISEMENT

વિશ્વ હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. આવા સમયે ભારત અને યુકે વચ્ચેનો આ મોટો વેપાર કરાર બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિટિશ સરકાર આને ભારત સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવે છે. બ્રિટનના અંદાજ પ્રમાણે આ FTAથી યુકેની અર્થવ્યવસ્થામાં £4.8 બિલિયનનો વધારો થશે અને વાસ્તવિક વેતનમાં £2.2 બિલિયનનો વધારો થવાની સંભાવના છે. બીજી તરફ ભારત સરકારનું કહેવું છે કે આ કરારથી ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને દેશના અનેક ઉદ્યોગોને સીધો લાભ મળશે.
ADVERTISEMENT
ભારત-યુકે FTA અમલમાં આવ્યા બાદ બ્રિટનથી આયાત થતી અનેક વસ્તુઓ સસ્તી બનશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી પર લાગતો 150 ટકા ટેરિફ ધીમે-ધીમે ઘટાડીને 40 ટકા કરવામાં આવશે. એટલે કે કુલ 110 ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત કાર પરનો 100 ટકા ટેરિફ ઘટાડીને માત્ર 10 ટકા કરવામાં આવશે. જેના કારણે લેન્ડ રોવર, જગુઆર, રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન અને ડિફેન્ડર જેવી લક્ઝરી કારની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. બ્રિટિશ બ્યુટી પ્રોડક્ટ્સ પર લાગતા આશરે 22 ટકા ટેરિફમાં પણ ઘટાડો અથવા સંપૂર્ણ રાહત મળશે.
ADVERTISEMENT
આ કરારનો સૌથી મોટો લાભ ભારતીય નિકાસકારોને મળશે. હવે 99 ટકા ભારતીય ઉત્પાદનોને યુકેના બજારમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. આમાં ખાસ કરીને કાપડ, ફૂટવેર, ખાદ્ય ઉત્પાદનો, રસાયણો અને બેઝ મેટલ્સ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી યુકેમાં કાપડ પર 12 ટકા, રસાયણો પર 8 ટકા અને બેઝ મેટલ્સ પર 10 ટકા સુધીની ડ્યુટી લાગતી હતી. હવે આ ઉત્પાદનોને મોટા ભાગે '0% ટેરિફ' હેઠળ પ્રવેશ મળશે.
ADVERTISEMENT
ભારતીય ઉત્પાદનોને યુકેમાં સરળ પ્રવેશ મળતા નિકાસમાં વધારો થશે. નિકાસ વધવાથી દેશમાં ઉત્પાદન પણ વધશે. ખાસ કરીને કાપડ, ચામડું, ફૂડ પ્રોસેસિંગ અને MSME સેક્ટરમાં મોટી સંખ્યામાં નવી નોકરીઓ ઊભી થવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કરાર લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવામાં મદદરૂપ બનશે.
ADVERTISEMENT
આ કરારનો એક મોટો ફાયદો યુકેમાં કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને મળશે. ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) હેઠળ હવે ઘણા ભારતીયોને બ્રિટનની નેશનલ ઈન્સ્યોરન્સ યોજના માટે અલગથી યોગદાન આપવાની જરૂર નહીં રહે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ભારતીય વ્યાવસાયિકોના પગારનો લગભગ 25 ટકા હિસ્સો બ્રિટનની સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં જતો હતો. હવે આ રકમ ભારતમાં તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા થશે, જેના પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર રકમ કરમુક્ત રહેશે.
ADVERTISEMENT
FTAના અમલ બાદ ભારત અને યુકે વચ્ચે વેપાર તો વધશે જ, સાથે સાથે બંને દેશો વચ્ચે રોકાણ પણ વધવાની શક્યતા છે. યુકેની ઘણી કંપનીઓ ભારતમાં નવા પ્રોજેક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં રોકાણ કરી શકે છે. જેના કારણે દેશમાં ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.
આ ઉપરાંત ભારતીય IT કંપનીઓ, એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ અને અન્ય વ્યાવસાયિકો માટે પણ યુકેમાં નવી તકો ઉભી થશે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે અને વેપારનું પ્રમાણ વધશે. ભારત-યુકે FTA માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશોની અર્થવ્યવસ્થા માટે લાંબા ગાળે લાભદાયી સાબિત થઈ શકે એવો મહત્વપૂર્ણ સોદો છે. ઝીરો ટેરિફ, નિકાસમાં વધારો, રોજગારની નવી તકો, PFમાં ફાયદો અને રોકાણમાં વૃદ્ધિ જેવા પાંચ મોટા લાભોને કારણે આ કરાર ભારતના વેપાર અને આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
West Asia Conflicts / હોર્મુઝમાં જહાજો પાસેથી 20% ટેરિફ વસૂલવાનો ટ્રમ્પનો પ્લાન કેન્સલ, કર્યું નવું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.