ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી થઇ ગઇ છે. ત્યારે, સૂર્યકુમાર, રાહુલ તેવતિયાને પણ મોકો મળી ગયો છે. વિકેટકીપર તરીકે ઋષભ પંતની સાથે ઈશાન કિશનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિજય હજારે ટ્રોફીમાં શનિવારે ઈશાન કિશને ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યાર બાદ તેની પસંદગીને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
22 વર્ષના ઈશાને મધ્યપ્રદેશ વિરૂદ્ધ 94 બોલ પર 173 રનોની કપ્તાની ઇનિંગ રમી. આઈપીએલની તેમની ટીમ મુંબઈ ઇન્ડિયન્સે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી હતી. ઈશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે. ત્યારે આઈપીએલમાં ગુજરાત લાઇન્સ માટે પણ રમી ચૂક્યા છે.
ઈશાને આઇપીએલની 51 મેચોમાં 1211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સૌથી વધુ સ્કોર 99 રન રહ્યો છે અને તેમણે 7 અડધી સદી લગાવી છે. તેઓ 2016ના અંડર - 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. જોકે ભારતને આ વર્લ્ડ કપના ફાઇનલમાં વેસ્ટઇન્ડીઝના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
અંતે સૂર્યકુમારને મળ્યો મોક
મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સતત સારૂ પ્રદર્શન બાદ સૂર્યકુમાર યાદવની અંતે ટીમમાં પસંદગી કરવામાં આવી. ત્યારે, હરિયાણાના તેવતિયા પણ આઈપીએલમાં યાદગાર પ્રદર્શન બાદ ટીમમાં જગ્યા બનાવવા માટે સફળ રહ્યા. ડાબા હાથના કાંડાના સ્પિનર કુલદીપ યાદવ અને મનીષ પાંડેને ટીમથી બહાર કરવામાં આવ્યા છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.