આઝાદીના 70 વર્ષ પછી પણ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. 1960ના દશકમાં ભારત ભીષણ દુષ્કાળ અને બીજા અલગ અલગ કારણો સર ઘણા વર્ષો સુધી ભારત અનાજની અછતમાં રહ્યો. પરિણામે સરકાર સતત પ્રજા અને ખેડૂતોના કલ્યાણ માટે અલગ અલગ પોલિસી બનાવતી રહી. આ કારણોસર કૃષિ ક્યારેય એક સ્વતંત્ર વેપાર ક્ષેત્ર તરીકે કામ કરી શકી નથી. નિષ્ણાતોના મતે આ દેશમાં ખેતીના પતન માટે મુખ્ય જવાબદાર કારણ છે. ત્યારે આજનો ભારતીય ખેડૂત હવે કદાચ સરકારી કાયદાકીય આટાપાટાથી બહાર આવીને સ્વતંત્ર રીતે ઉત્પાદન કરીને વેચાણ કરવા ઈચ્છતો હોઈ શકે.
ભારતનો ખેડૂત પ્રારબ્ધવાદી ગણવામાં આવે છે. તે સતત બદલાતા પાકના ભાવો અને મોસમના બદલાતા મિજાજથી ત્રસ્ત રહે છે. આ પ્રકારની અનિશ્ચિતતાઓથી ખેડૂતને બચાવવા સરકાર તેને હજારો કરોડની સબસીડી, પાણી, વીજળી, ખાતર, ટેકાના ભાવો, ન્યુનતમ વેતન, લોન માફી વગેરે સગવડો સતત આપ્યા કરે છે. આમ છતાં ખેડૂતની કળ વળતી નથી. જો કે નિષ્ણાતોનું માનવું છે કે સરકારની આટલી બધી દરમિયાનગીરીની હવે જરૂરિયાત રહી નથી. સરકારના સારા હેતુથી થતી મદદ લાંબા ગાળે ખેડૂત માટે નુકશાનકારક બને છે.
શું આ પાછળ 'અનાજની અછત'ની માનસિકતા જવાબદાર છે?
1960ના દશકમાં ભારત ભીષણ દુષ્કાળ અને બીજા અલગ અલગ કારણો સર ઘણા વર્ષો સુધી ભારત અનાજની અછતમાં રહ્યો. હવે પરિસ્થિતિ સુધરી છે અને દેશમાં ખોરાકની અછત નથી. આમ છતાં આ માનસિકતા સરકારના અને પ્રજાના માનસપટ પરથી ભુંસાતી નથી. ખેડૂતને બિયારણથી લઈને ઉત્પાદન વેચવા સુધીની તમામ પ્રક્રિયામાં સરકાર મદદરૂપ બનવાના સ્વરૂપે સતત દરમિયાનગીરી કરે છે.
દેશમાં ફ્રી ટ્રેડ ઈકોનોમી તરીકે કૃષિ પણ સરકારના નિયમન વગર વર્તે એ જરૂરી છે, ભારતમાં ખેતી મોટા ભાગે નાના ઉત્પાદકો વડે થાય છે જેમાં ખરીદ કરનારાઓ બજારને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત બજાર ઉપર સરકારી કાનૂની નિયમો અને રાજ્ય વડે જરૂરિયાત પ્રમાણે લાદી દેવાયેલા કાયદાઓ પણ બુરી અસરો પાડે છે.
ભારતના બીજા ઉદ્યોગોમાં આ પરિસ્થતિ નથી
ભારતમાં ઇન્ડસ્ટ્રીઝમાં ભારતે મૂડીવાદી નીતિ અપનાવી છે જેમાં ટ્રેડ માટેના અવરોધો અને સરકારની સત્તા ઘટાડી દેવાઈ છે. જો કે ખેતીમાં હજી આ અભિગમ આવ્યો નથી.
કઈ કઈ નીતિઓને બદલવી પડશે?
સબસીડી : સતત સબસીડી આપતા રહેવાથી ખેડૂત નફાલક્ષી વિચાર કરી શકતો નથી અને તેમના આત્મનિર્ભર થવા માટેના પ્રયાસો ધીમા થઈ જાય છે કારણ કે અંદરખાને તેઓ જાણે છે કે તેનું નુકશાન સરકાર વડે ભરપાઈ થઇ જશે. આવામાં સબસીડીઓમાં પણ થોડાં બદલાવ લાવીને યોગ્ય અને ગ્રાઉન્ડ લેવલે પહોંચી તેવી રીતે બનાવવી જોઈએ.
વેરહાઉસ : સારી ગુણવત્તાના વેરહાઉસીસમાં ચોક્કસ પ્રમાણમાં ઉત્પાદનો સંગ્રહવાથી અચાનક થતી તંગીમાં ભાવો કાબુમાં કરી શકે છે. જો કે સરકાર સંગ્રહખોરી ડામવા માટે વેરહાઉસીસના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદી દે છે. આમ કરવાથી વેરહાઉસીસનો ઉદેશ પાર પડતો નથી.
આંતરરાષ્ટ્રીય વ્યાપાર : જયારે દેશમાં કોઈ એક ઉત્પાદનનું પ્રમાણ વધુ ગયું છે તો તેની નિકાસ કરીને ઉત્પાદક લાભ મેળવી શકે છે. હાલમાં આયાત નિકાસ ઉપરનો કાબુ સરકારના હાથમાં છે. આમ કરવાથી ખેડૂત નિકાસનો સંપૂર્ણ લાભ મેળવી શકતો અને વિદેશી ખરીદ કરનાર પણ આ બદલાઈ નીતિઓના કારણે ઉત્પાદન ખરીદતા ખચકાય છે.
નેશનલ માર્કેટ : નેશનલ માર્કેટમાં સરળતા લાવવાથી દેશમાં જયારે એક રાજ્યમાં કોઈ ચોક્કસ ઉત્પાદનની તંગી સર્જાય તો બીજું રાજ્ય તેનું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા લાવી શકાય. હાલ દરેક રાજ્યની અલગ અલગ વેચાણ પોલિસી હોવાના કારણે રાજ્યો વચ્ચે કૃષિ વ્યાપારનો મહત્તમ લાભ લઇ શકાતો નથી.
ટેક્નિકલ અવરોધો : રાજ્યો માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં ઉત્પાદનની હેરફેર કરવી પણ બોર્ડર ચેકપોસ્ટ્સના કારણે કઠિન છે. અહીં રાજ્ય મુજબ અલગ અલગ ટેક્સ લાગે છે જેના પેપર વર્કમાં ઘણો સમય વેડફાય છે.
ભારતના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર ઉપર સરકારે અને ખેડૂતોએ પોતે વિશ્વાસ રાખવાની જરૂર છે. ભારતીય ખેડૂત હવે સ્વતંત્ર રીતે ઉત્પાદન કરીને નફો કરી શકે છે. આ પ્રકારનું માળખું અપનાવવું જ દેશ માટે હિતકારી છે.
આવામાં ચોક્કસ કહી શકાય કે આજના જમાનામાં જ્યારે ટૅકનોલોજી અને ડિજિટલ યુગની વાતો થતી હોય છે પરંતુ ખેડૂતોની વાત આવે ત્યારે એ જ જૂની નજરોથી જોવામાં આવે છે. તેમના સશક્તિકરણ અને આત્મનિર્ભર કરવાની યોજનાઓ અને પદ્ધતિઓ પણ બદલવામાં સરકારને કોઈ ખાસ રસ દેખાતો નથી. તેથી ખેડૂતો માટે વોટબેંકના ચશ્માં ઉતારીને જોવાની જરૂર છે જેથી તેમનું ઝાંખુ ભવિષ્ય વધુ ચોખ્ખું દેખાય અને બને પણ...