ભારતની અંદર લોકશાહી છે. 'લોકશાહી' એટલે લોકોની સત્તા, જ્યાં સત્તા લોકોના હાથમાં હોય. પરંતુ આપણાંમાંથી ઘણા લોકોને પોતાના હક અને અધિકારો વિશે ખબર નથી.
ભારત લોકશાહી ધરાવતો દેશ
જાણી લો તમારા અધિકારો
વહીવટીતંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર
ભારતના દરેક નાગરિકને વહિવટી તંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર છે અને જે પણ સેવા મળે છે તે કેટલા દિવસમાં મળે તેનો પણ તેને અધિકાર આપવામાં આવે છે. તમને ખબર છે તમારા ઘરે આવતી લાઈટનું ભંગાણ થાય તો તેનો પણ ટાઈમિંગ હોય છે કે આટલા સમયમાં તમારી ફરિયાદનું નિવારણ થઈ જવું જોઈએ.
એવી જ રીતે કોઈ પણ સરકારી સેવા તમને કેટલા દિવસમાં મળવી જોઈએ તેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો તમને એટલા સમયમાં સેવા નથી મળતી તો તમે ફરિયાદ કરી શકો છો. પરંતુ આપડે ત્યાં તકલીફ એ છે કે આપણને આના વિશે ખબર નથી. જાણો કાયદાઓ શું છે અને તેના વિશે ફરિયાદ કઈ રીતે કરી શકાય છે તેના વિશે...
સરકારે નક્કી કરી છે સમયમર્યાદા
તમે સરકારી કચેરીમાં કોઈ પણ સેવા લેવા માટે જાવ જેવી કે સાત બારના ઉતારા માટે કે કોઈ નોંધ પડાવા માટે અથવા તો નવુ વિજ કનેક્શન લેવું હોય, આ દરેક સેવાઓ માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તેટલા સમયમાં તમારૂ કામ પુરૂ કરી આપવું પડે.
આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે તેને કહેવાય છે નાગરિક અધિકારપત્ર દરેક સરકારી કચેરીમાં આ નાગરિક અધિકારપત્ર હોવો જરૂરી છે.
શું છે નાગરિક અધિકારપત્ર?
ગુજરાતની અંદર એક કાયદો છે જેનું નામ છે જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિનિયમ 2013, આ કાયદાની કલમ નંબર-4ની અંદર લખેલું છે જે રાજ્ય સરકાર, વખતોવખત, આ અધિનિયમ જે સેવાઓને લાગુ પડશે તે સેવાઓ અને જે નિયત સમય-મર્યાદામાં એવી સેવાઓ પુરી પાડવાની રહેશે તે સમયમર્યાદા જાહેર કરી શકશે.
એટલે કે જે સેવાઓ આ કાયદા હેઠળ આવે છે તે તમામ સેવાઓની અંદર તમારે સમય મર્યાદા આપવી પડશે કે આટલા સમયમાં આ સર્વિસ તમારે પોતાના ગ્રાહકને આપવી પડશે.
RTOમાં મળે છે આ અધિકાર
ઉદાહરણ તરીકે આપણે વાહન વહેવાર કચેરીની વાત કરીએ એટલે કે RTOની વાત કરીએ. તમે તેનું નાગરિક અધિકાર પત્ર જોશો તો તમને દેખાશે કે ત્યાં લર્નિંગ લાયસન્સ મેળવવાની સમય મર્યાદા 1 દિવસની છે.
નવા વર્ગનો ઉમેરો કરવા માટે 1 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આવી અલગ અલગ સેવાઓ અહીં લખવામાં આવી છે. આજ રીતે ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે 8 દિવસનો સમય લાગે છે.
જો UGVCLની વાત કરીએ તો...
તમારે UGVCLની કોઈ પણ સર્વિસ લેવી છે, જેમ કે તમારે તમારૂ વિજ જોડાણ સિફ્ટિંગ કરવું છે. તો જો તમે અંદાજપત્રના નાણા ભરપાઈ કરો તેના મિટર કે સર્વિસ લાઈનને 7 દિવસની અંદર ચેન્જ કરવાની રહેશે. એલટી કે એચડી લાઈન 20 દિવસની અંદર, ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર 30 દિવસની અંદર ચેન્જ કરવાનું રહે છે.
જો તમારી પાસે UGVCLનું કનેક્શન છે અને વારંવાર લાઈટ જતી રહે છે તો તેની માટે પણ જોગવાઈ છે. જો વિજવિક્ષેપ એટલે કે લાઈટ જાય તેની સામાન્ય ફરિયાદ હોય તો શહેરમાં 4 કલાક અને ગામડામાં 24 કલાકની અંદર તેનું નિવારણ આપવું જરૂરી બને છે.
જો ફરિયાદ નિયમ સમય મર્યાદામાં સોલ્વ ન થાય તો શું?
જો તમને કોઈ પણ સેવા જોઈએ છે તો યાદ રાખજો આ કાયદાની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે તે સેવા કયા અધિકારી પુરી પાડશે તેની વિગતો તમારે આપવી જરૂરી બનશે. જો તમને કોઈ સેવા નિયત સમયમાં ન મળી તો તેના માટે ફરિયાદ નિવાપણ અધિકારી હોય છે.
આ અધિકારીનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમને મળવા પાત્ર છે અને તમે તેમને ફરિયાદ કરી શકો છો. જો તમારૂ ફરિયાદનું નિવારણ ત્યાં પણ નથી આવતું તો તેના પછી મુકરર સત્તઅધિકારીની વિગતો તમને મળી શકે છે અને વધારાની ફરિયાદ તમે ત્યાં કરી શકો છો.
તમને આ દરેક સત્તા અધિકારીઓ પાસેથી યોગ્ય જવાબ ન મળે તો શું કરવું?
માનીલો કે તમને દરેક જગ્યા પર ફરિયાદ કર્યા બાદ મુકરર સત્તાઅધિકારી પાસે પણ ફરિયાદ છે તો તમે રાજ્ય અપીલ સત્તામંડળને અપીલ કરી શકો છો. ત્યાર બાદ ત્યાં નિર્ણય લેવામાં આવશે કે જે પણ અધિકારી છે તેની સામે એક્શન લેવામાં આવશે અને તમારી સેવા પુરી પાડવામાં આવશે.
આપડા ત્યાં લોકો આટલા બધા જાગૃત નથી કે આ સેવાઓનો લાભ લે. પરંતુ આ જાણકારી તમામે રાખવી ખૂબ જ જરૂરી છે.