કોરોના કાળમાં કેન્દ્ર સરકારે લગભગ 21 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ લોન આપીને લોકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હવે ઘરનું ઘર લેવાનું સપનું થશે પૂરું
આઇસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ આપી રહી છે લોન
આ પેકેજ હેઠળ લોન આપીને લોકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
આનું પરિણામ એ છે કે બેંકો અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ તમામ પ્રકારની લોન લેવાની પ્રક્રિયા સરળ બનાવી છે. મોટાભાગની બેંકો હવે સામાન્ય દસ્તાવેજો અથવા શરતો પર પણ લોન આપી રહી છે. ત્યારે હવે આઇસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ પણ સામાન્ય શરતો પર હોમ લોન આપી રહી છે. આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સે દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કુશળ કામદારો માટે નવી લોન યોજના 'અપના ઘર ડ્રીમ્ઝ' શરૂ કરી છે. આ અંતર્ગત 2 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.
કંપનીએ જણાવ્યું કે, આ યોજનામાં શહેરમાં સુથાર, ઇલેક્ટ્રિશિયન, ટેલર, પેઇન્ટર્સ, વેલ્ડીંગ કામદારો, પ્લંબર, મિકેનિક, મેન્યુફેક્ચરીંગ મશીન ચાલકો, આરઓ ફિક્સર્સ, નાના અને મધ્યમ વ્યવસાયો કરિયાણાના દુકાનદારો માટે છે. દસ્તાવેજો તરીકે આ લોકોએ માત્ર પાન (કાયમી એકાઉન્ટ નંબર) અને આધાર અને છ મહિનાના બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. આ યોજના હેઠળ, ગ્રાહકો 20 વર્ષ માટે લોન લઈ શકે છે. પાંચ લાખ રૂપિયા સુધીની લોન માટે ન્યૂનતમ 1,500 રૂપિયા જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની લોન માટે ઓછામાં ઓછા 3,000 રૂપિયા ખાતામાં હોવા જોઈએ.
આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ કંપનીના સીઇઓ અનિરુધ કમાનીએ કહ્યું કે, આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સમાં અમારો ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના સખત મહેનત કરનારા કામદારો અને સ્થાનિક નાના ઉદ્યોગોને પોતાનું ઘર ખરીદવાના સપનાને પૂરા કરવા માટે લોન આપવાનું છે.
કંપનીએ કહ્યું કે ગ્રાહકો પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)નો પણ લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ ઓછી આવક વર્ગ / આર્થિક રીતે નબળો વર્ગ (ઇડબ્લ્યુએસ / એલઆઈજી) અને મધ્યમ આવક ધરાવતો વર્ગ (એમઆઈજી -1 અને 2) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે. આ યોજના હેઠળ, લોન લેનારાને મહત્તમ 2.67 લાખ સુધીની સબસિડી મળી શકે છે.