રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યા છે. આ રાજીનામાના ઘટનાક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોઈનો પીછો કરતા હોય તેવી રસપ્રદ ઘટના બહાર આવી છે. મંત્રી બંગલોના રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપીને આવેલાં સોમા ગાંડા સાથે વાત કરવા પરેશ ધાનાણીના કાર્યાલયનો માણસ પ્રદિપભાઈના બંગલે પહોંચ્યો હતો. જોકે, થયું એવું કે આ માણસ સોમા ગાંડાને મળી શક્યો નહીં. પણ તે પ્રદિપસિંહના બંગલેથી પાછો ફરતા તેનો જ પીછો કરવા ગૃહરાજ્ય મંત્રી પોતે ગયા હતા.
કોંગ્રેસના લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે 14મી માર્ચની રાત્રે 12 વાગ્યાની આસપાસ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના બંગલે રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી તેઓ સીધા જ પ્રદિપસિંહને મળવા ગયા હતા. આ સમયે પરેશ ધાનાણીનાં કહેવા પ્રમાણે કાર્યાલયમાં કામ કરતા એક વ્યક્તિ સોમા ગાંડાને મળવા દોડી ગયા હતા.
તેમને ધાનાણીએ જ દોડાવ્યા હોવાનું કહેવાય છે. આ વ્યક્તિએ પ્રદિપસિંહ બંગલાની બહાર સોમા ગાંડા અહીંયાં આવ્યા છે અને મારે તેને મળવું છે, મળી શકાય ખરું? તેવું પૂછ્યું હતું. પણ, ત્યાંથી જવાબ એવો મળ્યો કે, સોમા ગાંડા અહીંયાં આવ્યા નથી.
આ વ્યક્તિ તરત જ ત્યાંથી પાછા ફર્યા. જોકે, આ બાબતની જાણ પ્રદિપસિંહને થતાં તેઓ પણ કોણ આવ્યું હતું અને શું કામ રેકી કરી તેવું જાણવા ઉત્સુક બન્યા હતા. આથી તેઓ પણ ધાનાણીના માણસનો પીછો કરવા માટે તરત જ પાછળ જાતે બુલેટ ચલાવીને ગયા. પ્રદિપભાઈ બુલેટમાં માણસનો પીછો કરતાં કરતાં પરેશ ધાનાણીના ઘર સુધી પહોંચી ગયા હતા.
તેઓ ત્યાં પહોંચતા તેમની નજરે જે દ્રશ્ય હતું તે એવું હતું કે, પરેશ ધાનાણી પોતે જ તેમના બંગલામાં અધ્યક્ષના ઘરે કોણ જાય છે તે જોવા રાત્રે જાણે ચોકીદારની જેમ પહેરો કરતા હતા અને તેમના માણસો તેમને સથવારો કરાવતા હતા. પરેશ ધાનાણી પ્રદિપસિંહને બુલેટ પર જોઈ જતાં હસવા લાગ્યા હતા.