હોળીકાદહન આ વર્ષે 21 માર્ચે છે અને હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. હોળાષ્ટક લાગતા જ હિંદુ ધર્મમાં તમામ શુભ કાર્ય કરવાની ના પાડવામાં આવે છે કારણ કે એને અશુભ સમય માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાલ્ગુન શુક્લપક્ષ અષ્ટમીથી ફાલ્ગુન શુક્લ પૂર્ણિમા સુધીના સમયને હોળાષ્ટક કહેવામાં આવે છે.
પૌરાણિક માન્યતા અનુસાર હોળીના 8 દિવસ પહેલા ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી પ્રકૃતિમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. આ કારણે કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટકને લઇને પૌરાણિક માન્યતા છે કે દૈત્ય રાજ હિરણ્યકશ્યપે ફાલ્ગુન શુક્લ પક્ષ અષ્ટમીએ ભક્ત પ્રહ્લાદને બંધક બનાવીને પીડા આપી. હોળીકાએ પણ પ્રહ્લાદને બાળવાની તૈયારીએ દિવસથી શરૂ કરી દીધી હતી અને ખુદ હોળીકા દહનના દિવસે ભસ્મ થઇ ગઇ ત્યારબાદ રંગોત્સવ મનાવવામાં આવ્યો.
એવી પણ કથા છે કે ભગવાન શિવે હોળાષ્ટકના દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા. જેનાથી પ્રકૃતિમાં શોકની લહેર ફેલાઇ ગઇ હતી અને લોકોએ શુભ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હોળીના દિવસે ભગવાન શિવથી કામદેવના પાછા જીવિત થવાનું વરદાન મળી ગયા બાદ પ્રકૃતિ આનંદિત થઇ ગઇ. એટલા માટે હોળાષ્ટકથી હોળિકા દહનની વચ્ચેનો સમય શુભ માનવામાં આવતો નથી.
ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી જ હોળીકા દહન માટે સ્થાનની પસંદગી કરી દેવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે સાંયકાલના શુભ મૂહુર્તમાં હોળીકા દહન કરવામાં આવે છે. સાથે એવું પણ જાણી શકાય છે આગળનું વર્ષ કેવું રહેશે.
મથુરાના દરેક ઘરમાં આશરે 10 દિવસ પહેલાથી હોળિકાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. ઘરોમાં અલગ અલગ પ્રકારના પકવાન મિષ્ઠાન બનાવવામાં આવે છે. વૃંદાવનમાં રંગભરની એકાદશી સાથે જ હોળીનો પ્રારંભ થઇ જાય છે.
હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પ્રેમથી પણ જોડાયેલો છે. વસંતમાં એક બીજા પર રંગ નાંખવો શ્રીકૃષ્ણ લીલાનો અંગ માનવામાં આવ્યો છે.