અમેરિકન સૈનિકોની તહેનાતીવાળા ઈરાકી એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાકી એરબેઝ પર આઠ રોકેટ મારવામાં આવ્યાં છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બંને દેશ વચ્ચેનું વાતાવરણ સતત તંગ બનતું જાય છે. હિઝબુલ્લાહ (શિયા રાજકીય અને અર્ધલશ્કરી સંગઠન)એ અમેરિકી એરબેઝને ઉડાવી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે.
હિઝબુલ્લાહની આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને ઈરાક સ્થિત તમામ અમેરિકન એરબેઝની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાનની વિશેષ સેનાના જનરલ કાસિમ સુલેમાનીને અમેરિકાએ હવાઈ હુમલામાં માર્યા બાદ હિઝબલ્લાહ રોષે ભરાયું છે અને હવે સુલેમાનીના મોતનો બદલો લેવા તે આતુર છે.
અહેવાલો અનુસાર હુમલો ઈરાકના બલાદ એરબેઝ પર થયો હતો. અહીં સાત મોર્ટાર બોમ્બ મારવામાં આવ્યા હતા. આ હુમલામાં ચાર સૈનિકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. ઈરાન દ્વારા કરવામાં આવેલો આ હુમલો રાજધાની બગદાદથી ૮૦ કિલોમીટર દૂર બલાદ એરબેઝના રન-વે પર થયો હતો. ચારેય ઘાયલ ઈરાકી સૈનિકોને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
યુક્રેનની વિમાન દુર્ઘટનાની જવાબદારી લીધા બાદ હજારો ઈરાની નાગરિકો ઈરાની નેતા આયાતોલ્લાહ અલી ખોમેની સામે રસ્તા પર ઊતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા પાસેથી તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. વિરોધને પહોંચી વળવા માટે આઈઆરજીસીના જવાનોએ વિદ્યાર્થીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું.
બીજી તરફ ઈરાને બ્રિટનના રાજદૂત રોબ મેકાયરને સમન્સ મોકલ્યું છે. હકીકતમાં, ઈરાની પોલીસે આરોપ લગાવ્યો છે કે તેમણે પ્રદર્શનકારીઓને ઉશ્કેર્યા હતા. આથી વિરોધ વધુ તીવ્ર બન્યો હતો અને પોલીસે તેને નિયંત્રણમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન રાજદૂતની થોડા કલાકો માટે ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકારે આ ઘટના અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.