રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મરણિયા પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલ્યું અને અંતે પરિણામ જાહેર થયું જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઇ હતી.
રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર
ભાજપનો 4 બેઠક પર અને કોંગ્રેસનો 1 બેઠક પર વિજય
ઉલ્લેખનીય છે કે, આજરોજ ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે યોજાયેલા મતદાનમાં ભાજપ-કોંગ્રેસે બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારના જીતની આશા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન તથા રમિલાબેનની જીત થઇ છે. તો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પૈકી શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
જાણો મતનું ગણિત
આપને જણાવી દઇએ કે, ભાજપના 3 ઉમેદવારો વચ્ચે કુલ 104 મત મળ્યા છે. જેમાં નરહરિને 32 મત મળ્યા હતા તો અભય ભારદ્વાજને 36 અને રમીલા બેનને 36 મત મળ્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો બંન્ને ઉમેદવારો વચ્ચે કુલ 66 મત મળ્યા હતા. જેમાં ભરતસિંહ સોલંકીને 30 મત અને શક્તિસિંહ ગહિલને 36 મત મળતા શક્તિસિંહ ગોહિલની જીત પાક્કી થઇ હતી અને કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણીમાં હાર્યા હતા. કોંગ્રેસને મળેલા 66 મત પૈકી 65 કોંગ્રેસના ધારાસભ્યોના તથા 1 મત અપક્ષનો જીગ્નેશ મેવાણીનો મળ્યો હતો.
કોંગ્રેસે મતદાન બાદ ઉઠાવ્યા વિરોધ
રાજ્યસભાની ચૂંટણીમાં મત ગણતરી પહેલા કોંગ્રેસ વિરોધ ઉઠાવ્યો હતો. ભાજપ MLA કેસરીસિંહ સોલંકીના મત પર વાંધો ઉઠાવ્યો છે સાથે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ વાંધો ઉઠાવ્યો હતો જો કે, ત્યારબાદ રાજ્યના ચૂંટણી પંચે કેન્દ્રના ચૂંટણીપંચનું માર્ગદર્શન માગ્યું હતું અને અંતે કોંગ્રેસના આક્ષેપને ફગાવ્યા હતા અને મતગણતરીને મંજૂરી આપી હતી.
ભાજપના 3 ધારાસભ્યોનું પ્રોક્સી વોટિંગ
આજે 3 ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કર્યુ હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા અને મતદાન કર્યુ હતું. માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુઃખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જેમનું સ્વાસ્થ્ય ઠીક નથી તેમને પણ મતદાન પ્રોક્સી વોટિંગથી કરાવાઈ રહ્યું છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.