બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીમાં પૂર, વાસણા બેરેજના દરવાજા ખુલ્યા, અમદાવાદમાં પાણી ભરાયા
6 ફોટો ગેલેરી
Last Updated: 11:01 AM, 24 July 2026
1/6
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અંબિકા નદીમાં આવેલા પૂરથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગણદેવી તાલુકાના ખખવાડા ગામમાં પાણીના તેજ પ્રવાહ વચ્ચે 38 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં NDRFની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને 17 પુરુષ, 11 મહિલા તેમજ 10 બાળકો સહિત તમામ 38 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની કુલ 6 ટીમોને વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
2/6
અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી કુલ 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વધેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે ખંભાત અને તારાપુર તાલુકાના કુલ 13 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ કોઈપણ સંજોગોમાં નદીના કિનારે ન જવા અપીલ કરી છે. સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
3/6
મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમમાં ઉપરવાસમાંથી નવા નીરની આવક શરૂ થતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 7,638 ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટી વધીને 390.4 ફૂટ પર પહોંચી છે. હાલમાં કડાણા ડેમ તેની ભયજનક સપાટીથી અંદાજે 29 ફૂટ નીચે હોવાથી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. નવા પાણીની આવકથી ડેમમાં જળસંગ્રહ વધવાની આશા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે સિંચાઈ અને પીવાના પાણી માટે ખેડૂતો તેમજ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
4/6
અમદાવાદમાં વહેલી સવારથી શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે. બાપુનગર, અસારવા, સરસપુર અને રખિયાલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારગિલ પેટ્રોલ પંપ નજીક પણ વરસાદી પાણી ફરી વળતાં ટ્રાફિકની અવરજવર પર અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પર ધીમી ગતિએ વાહનવ્યવહાર ચાલી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
5/6
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદમાં 19.96 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં 18.62 ઈંચ, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 17.76 ઈંચ તેમજ વલસાડના ઉમરગામ અને સુરત જિલ્લાના ઉમરપાડામાં 17 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના માતર તાલુકામાં પણ 16.22 ઈંચ વરસાદ નોંધાતા નદીઓ અને તળાવો છલકાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
6/6
નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પૂર્ણા નદીમાં આવેલા નવા નીરના પ્રવાહથી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે તેની કામગીરી અને આયોજન અંગે સવાલો ઊભા થયા છે. જલાલપોર, વિજલપોર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ