ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે જણાવ્યું હતુ કે, રાજ્યમાં વીજગ્રાહકોના હિતમાં CM રૂપાણી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રૂા. 310 કરોડનો લાભ વીજવપરાશ કરતા ગ્રાહોકને મળશે. વીજખરીદી ઓછી થતા વીજકંપનીઓએ ગ્રાહકો માટે ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે.
આજે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતના વીજગ્રાહકોના હિતમાં CM રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. વીજ કંપનીઓએ ગ્રાહકો પાસેથી લેવાતો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો છે. ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
1.30 કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા 310 કરોડની રાહતો
એપ્રિલ, મે, જૂનના 3 મહિનાની માટે ફ્યુઅલ સરચાર્ઝમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે ગ્રાહકોને લાભ થશે. વીજ વપરાશ કર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જ ની વસુલાત ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલા ના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલેકે જાન્યુઆરી 2020થી માર્ચ 2020 દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો તેની સામે એપ્રિલ 2020 થી જૂન 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં 16 પૈસાનો ઘટાડો થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે .
કેમ સરકારે કર્યો ઘટાડો?
ઘટાડો કરવાનું મૂળ કારણ ખરીદીમાં ઘટાડો થયો છે. 310 કરોડ રૂા. લાભ રાજ્યની પ્રજાને મળશે. 2.06 પૈસા પર યુનિટ હતો જેનો ભાવ 1.90 પૈસા કરવામાં આવ્યો છે. આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એટલે કે અંદાજે 1.30 કરોડ થી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે અને બિલ ઓછું આવશે.