ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઇને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે.
40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિનો લાભ
રાજ્યના 5.69 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિવ્યાંગ બાળકો માટે કરી જાહેરાત
રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરન ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારે બીજી તરફ રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઇને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. તો ગાંધીનગરની શેઠ જે.એમ.ચૌધરી શાળામાં તરુણોના વેક્સિનેશનનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રારંભ કરાયો છે.
ગુજરાતના દિવ્યાંગ બાળકો જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિવ્યાંગ બાળકો માટે મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, અમારી સરકારે દિવ્યાંગ બાળકો માટે શિષ્યવૃતિનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જે બાળકો 40 ટકા જેટલા દિવ્યાંગ હશે, તેમને પણ સરકાર તરફથી શિષ્યવૃતિનો લાભ મળશે. અત્યાર સુધી જે વિદ્યાર્થી 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેમને જ શિષ્યવૃતિનો લાભ મળતો હતો. જો કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધેલા નિર્ણય મુજબ જે વિદ્યાર્થી 40 ટકા પણ દિવ્યાંગ હશે તેઓને શિષ્યવૃતિ મળશે.
રાજ્યમાં 5,69,000 જેટલા બાળકો 40 ટકાથી વધુ દિવ્યાંગની કેટેગરીમાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા 2,82,000 દિવ્યાંગોને ટકાવારીના કાર્ડ મળી ચૂક્યાં છે. કોરોનાના કારણે જે દિવ્યાંગોને આ કાર્ડ ના આપવામાં આવ્યું હોય, તેમને પણ વિશેષ ઝૂંબેશ હેઠળ આ કાર્ડ મળી જશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે.
એક પણ બાળક વેક્સિન વિના ન રહી જાય તેવું આયોજનઃ વાઘાણી
ત્યારે હવે તરુણોના વેક્સિનેશનને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, એક પણ બાળક વેક્સિન વિના ન રહી જાય તેવું આયોજન કરાયું છે. ત્રીજી લહેર આવે તો સૌ સાથે મળીને લડીશું. કેટલાક લોકો ગેરસમજ ઉભી કરતા હોય છે. વેક્સિનેશનને લઈને વાલીઓએ ડરવાની જરૂર નથી. કોરોના સામે વેક્સિનેશન જરૂરી છે. વાલીઓને વાઘાણીએ અપીલ કરી છે કે જો તમને કોઈ બાળક કે શિક્ષકમાં કોરોનાના લક્ષણો જણાય તો તેઓની તપાસ કરાવવી જોઈએ.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની દરેક સ્કૂલોમાં કોવિડ SOPનું પાલન થવું જ જોઈએ. જ્યાં કોવિડ ગાઈડલાઈન્સનો અમલ નહીં થતો હોય, ત્યાં કડક પગલા લેવામાં આવશે. આ માટે અમારા શિક્ષણ વિભાગ દ્વારા તમામ સૂચના આપી દેવામાં આવી છે.