બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદમાં અહીંથી ન નીકળતા, જુઓ ગુજરાતના કયા-કયા મેઇન હાઈવે છે બંધ?
6 ફોટો ગેલેરી
Last Updated: 02:18 PM, 25 July 2026
1/6
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે રાજ્યના માર્ગ વ્યવહારને ગંભીર અસર પહોંચાડી છે. પૂરના પાણી રોડ-રસ્તાઓ પર ફરી વળતાં અનેક જગ્યાએ માર્ગો ધોવાઈ ગયા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-બગોદરા, સાણંદ-વિરમગામ, સનાથલ-બગોદરા તેમજ બનાસકાંઠાના ધાનેરા-આગથળા સહિત પાંચ મહત્વપૂર્ણ હાઇવે અને માર્ગોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધા છે. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને ઘરે જ રહેવાની અપીલ કરી છે.
2/6
સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતને જોડતા મુખ્ય હાઇવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અમદાવાદ-વિરમગામ હાઇવે પર પણ વરસાદી પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્રએ સાણંદથી વિરમગામ અને વિરમગામથી સાણંદ તરફ જતો તમામ વાહનવ્યવહાર રોકી દીધો છે. પાણીના પ્રચંડ પ્રવાહને કારણે આ માર્ગ હાલ મુસાફરી માટે સુરક્ષિત ન હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે.
3/6
અમદાવાદ ટ્રાફિક પોલીસે ચાંગોદર-બાવળા વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી છે, કારણ કે પાણી ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે. બાવળા-બગોદરા અને સાણંદ-વિરમગામ માર્ગ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનો માટે વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઇવે (વેજલકા-બગોદરા)નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઘટે અને અકસ્માતો ટાળી શકાય.
4/6
DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને સનાથલથી બગોદરા અને ચાંગોદરથી બાવળા વચ્ચે રસ્તા પર એટલું પાણી ભરાયું છે કે ટુ-વ્હીલર તો દૂર, ફોર-વ્હીલર વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. અનેક વાહનો રસ્તા પર બંધ પડી જતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
5/6
તેમણે લોકોને અપીલ કરી છે કે સનાથલ-બગોદરા માર્ગ બંધ હોવાથી આ રસ્તાનો ઉપયોગ ન કરે અને તેના બદલે નવો ધોલેરા એક્સપ્રેસ હાઇવે મારફતે વેજલકા-બગોદરા રૂટનો ઉપયોગ કરે. રાજકોટ તરફથી આવતા મુસાફરોને પણ બગોદરા-વેજલકા થઈને અમદાવાદ આવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બિનજરૂરી બહાર ન નીકળવા અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
6/6
બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદે ભારે નુકસાન કર્યું છે. ધાનેરા-આગથળા માર્ગ પર સરલ ગામ પાસે સ્થાનિક નદી-નાળામાં આવેલા પૂરથી મુખ્ય રસ્તો અને બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ માર્ગ બંધ થતાં આસપાસના આશરે 30 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય વહીવટી તંત્ર અને અમદાવાદ ટ્રાફિક પોલીસે તમામ વાહનચાલકોને પૂરના પાણીમાં વાહન ન ચલાવવા, બંધ જાહેર કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લાંબી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ