બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એનાલોગ પનીર પર ગુજરાતમાં પ્રતિબંધ છતાં રાજકોટમાં ‘ખેલ’ ચાલુ! સીલ કરેલી ફેક્ટરી ફરી ધમધમતી જોવા મળી, સુરતમાં પણ દરોડા
Last Updated: 12:13 PM, 6 August 2026
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં રાજકોટમાં ખુલ્લેઆમ તેનું ઉત્પાદન થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ગંભીર ચેડાનો VTVNEWSએ પર્દાફાશ કરતાં સમગ્ર તંત્ર દોડતું થયું છે. રાજકોટથી શરૂ થયેલી કાર્યવાહી હવે સુરત સહિત અન્ય શહેરોમાં પણ પહોંચી છે અને આરોગ્ય વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં એનાલોગ પનીર બનાવતી ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો હતો. ખાસ કરીને ફોર્ચ્યુન પનીર નામની પેઢીમાં પ્રતિબંધિત એનાલોગ પનીરનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે આ જ ફેક્ટરીને 25 જૂને ફૂડ વિભાગે સીલ કરી હતી, પરંતુ ત્યારબાદ પણ ફરીથી ઉત્પાદન શરૂ થઈ ગયું હોવાનું જોવા મળ્યું.
ADVERTISEMENT
VTVNEWSની ટીમના સ્ટિંગ દરમિયાન ફેક્ટરીમાં એનાલોગ પનીર બનાવાતું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, ફેક્ટરીના માલિકે VTVNEWSની ટીમ સાથે દાદાગીરી પણ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફેક્ટરી સંચાલકો 450 રૂપિયાના ભાવે એનાલોગ પનીર વેચીને મોટો નફો કમાઈ રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા.
ADVERTISEMENT
VTVNEWSનો અહેવાલ પ્રસારિત થતાં જ સમગ્ર મામલે તંત્ર હરકતમાં આવ્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગને પરિપત્ર મોકલ્યો હતો. પરિપત્ર મળતા જ આરોગ્ય વિભાગની ટીમે વિલંબ કર્યા વગર ફોર્ચ્યુન પનીર ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. એનાલોગ પનીર બનાવતી ફેક્ટરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર કામગીરીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
રાજકોટ બાદ હવે સુરતમાં પણ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલા પનીરના ગોડાઉન પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મોટી માત્રામાં એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત પનીરના વેચાણ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ VTVNEWS સાથે વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હવે માત્ર એનાલોગ પનીર જ નહીં પરંતુ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગની ટીમ સતત સંયુક્ત ઓપરેશન ચલાવી રાજ્યભરમાં દરોડા પાડી રહી છે અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે અગાઉ વેપારીઓને એનાલોગ પનીર અને શુદ્ધ પનીર વચ્ચે સ્પષ્ટતા કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે હવે સરકારે વધુ કડક નિર્ણય લઈને એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આવી પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન કરવું કે તેનું વેચાણ કરવું ગુનો ગણાશે અને આવા કિસ્સાઓમાં કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં થયેલા પર્દાફાશ બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં. રાજ્યભરમાં સતત તપાસ, દરોડા અને કાયદેસરની કાર્યવાહીનો દોર ચાલુ રહેશે જેથી પ્રતિબંધિત ખાદ્યપદાર્થો બજારમાં ન પહોંચે અને લોકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.