કોરોના વાયરસે દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. કોરોના વાયરસે અત્યાર સુધી હજારો લોકોનો ભોગ લીધો છે ત્યારે જે ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે જ ઝડપથી વોટ્સએપ મેસેજ પણ ફેલાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં કારણે અમૂલ દૂધ બંધ થશે તેવા મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યા છે જેના પર અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
કોરોના વાયરસ મુદ્દે અમૂલ દૂધ મુદ્દે ફેલાઈ અફવા
અમૂલના મેનેજીંગ ડિરેકટરે કરી સ્પષ્ટતા
કોરોના વાયરસનાં કારણે અમૂલ દ્વારા દૂધનું કલેક્શન બંધ કરવામાં આવે છે તેવી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે 21મી તારીખથી અમૂલ દ્વારા દૂધનું કલેક્શન બંધ કરી દેવામાં આવશે. મેસેજમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસનાં ખતરાને જોતા અમૂલ દ્વારા ચિલીંગ સેન્ટર પણ બંધ કરી દેવામાં આવશે. જોત-જોતામાં આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા દૂધ ઉત્પાદકો મૂંઝવણમાં મૂકાયા હતા.
અમૂલ વિશે ફેલાવવામાં આવતા મેસેજ પર અમૂલનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ સ્પષ્ટતા કરી છે. આર એસ સોઢીએ ટ્વીટ કરીને આ મેસેજને ફેકન્યૂઝ ગણાવ્યો. આર એસ સોઢીએ કહ્યું કે અમૂલનાં ચિલીંગ સેન્ટર વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. અમૂલ દ્વારા આવી કોઈ જ સેવા બંધ કરવામાં આવશે નહીં.
કોરોના વાયરસને લઈને દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં સોશિયલ મીડિયામાં પણ ફેકન્યૂઝ ખૂબ ઝડપથી ફેલાવવા લાગી છે. પીએમ મોદીએ જ્યારે કોરોના વાયરસ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવાની જાહેરાત કરી ત્યારે પણ ઘણા લોકોએ દેશમાં લોકડાઉન થશે તેવી અફવાઓ ફેલાવી હતી, જે બાદ પીએમઓ દ્વારા તેના પર સ્પષ્ટતા કરવામાં આવી કે વડાપ્રધાન લોકડાઉનની જાહેરાત નહીં કરે.
કોરોના વાયરસનાં પગલે વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે VTV પણ અફવાઓ અને ફેકન્યૂઝ ન ફેલાવવા માટે અપીલ કરે છે.