પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.વિદેશથી આયાત કરવી પડી રહી છે ત્યારે ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત થાય તે માટે ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાગૂ કરવામાં આવી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2021
વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત 4 વ્હીલરમાં 1.50 લાખ, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ટૂ વ્હીલરમાં 20 હજારની સબસિડી આપશે સરકાર. દેશભરમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે જ્યાં ઉદાર રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
4 વર્ષમાં 2 લાખ વાહનો ગુજરાતના માર્ગો પર ફરતા થશે
CM રૂપાણીએ કહ્યું કે, આવનારા ચાર વર્ષમાં આ નીતિ અંતર્ગત બે લાખ ઇલેકટ્રીક વાહનો રાજ્યના માર્ગો પર આવશે તેવી સ્પષ્ટ ધારણા સાથે લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે. તદઅનુસાર, ૧ લાખ ૧૦ હજાર ટૂ વ્હીલર, ૭૦ હજાર થ્રી વ્હીલર અને ર૦ હજાર જેટલા ફોર વ્હીલર આગામી ૪ વર્ષોમાં રાજ્યમાં આવશે તેવો અંદાજ છે.
તો આ સાથે જ તેમણે કહ્યું હતું કે, એટલે કે આગામી ચાર વર્ષમાં ર લાખ ઇલેકટ્રીક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે ૬ લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે.
ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય
આ સંદર્ભમાં તેમણે વધુમાંજણાવ્યું કે, રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. ૧૦ હજારની સબસિડી આપશે. સમગ્ર દેશમાં ગુજરાત આવી પ્રતિ કિલોવોટ સબસિડી આપવામાં અગ્રેસર રાજ્ય છે એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. CM રૂપાણીએ એમ પણ જણાવ્યું કે દેશના અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. પ હજાર આપે છે જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. ૧૦ હજારની સબસીડી આપણે આપવાના છીએ. આના પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. ૮૭૦ કરોડનો બોજ વહન કરશે.
500થી વધુ ચાર્જીગ સ્ટેશન ઉભા કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા ઇલેકટ્રીક વાહનોમાંની બેટરીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓ વિકસાવવાની બાબત પણ આ પોલિસીમાં સાંકળી લેવાઇ છે તેમ જણાવ્યું હતું. તેમણે આ અંગે કહ્યું કે, ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-ર) અન્વયે રાજ્યમાં ર૭૮ જેટલા ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે. રાજ્ય સરકાર આ ઉપરાંત વધુ રપ૦ ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ. ૧૦ લાખની મર્યાદામાં રપ ટકા જેટલી કેપિટલ સબસિડી પૂરી પાડશે. આમ, આગામી વર્ષોમાં સમગ્ર રાજ્યમાં પર૮ જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.