ગુજરાતમાં ધોરણ 12 અને 10ની બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણમંત્રીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
ધો.10-12ની પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન
રાજ્ય સરકારે પરીક્ષા સ્થગિત કરી છે:શિક્ષણમંત્રી
સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવાશે:શિક્ષણમંત્રી
ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે હાલ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને 1થી 9 તેમજ 11માં ધોરણને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે પણ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે પણ આ પરીક્ષાઓ મોકૂફ નથી રાખવામાં આવી ત્યારે આજે શિક્ષણમંત્રીએ આ અંગે મહત્વની વાત કરી હતી.
15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે
ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યુ છે જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ પરીક્ષાને લઈને 18 એપ્રિલના રોજ જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત
ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતી જોતા ગુજરાત બોર્ડે પણ ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ સ્થગિત કરી છે અને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.
ઉત્તરપ્રદેશ
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મુલતવી રાખી છે. બોર્ડની પરીક્ષાઓ 20મે સુધી મુલતવી રાખવામાં આવી છે.
રાજસ્થાન
રાજસ્થાન બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ મુલતવી રાખી છે. તેમજ બોર્ડે 8, 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે.
મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશ બોર્ડની પરિક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે એમપી બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ સ્થગિત કરી દીધી છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ બોર્ડે ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
હરિયાણા
હરિયાણા સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરવાનો અને 12ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે
મહારાષ્ટ્ર
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.
છત્તીસગઢ
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ અને ઘણા જિલ્લાઓમાં લૉકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 10 બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
હિમાચલપ્રદેશ
હિમાચલપ્રદેશના શિક્ષણવિભાગના સચિવ રાજીવ શર્માના જણાવ્યા અનુસાર વર્ગ 10ની બોર્ડની પરીક્ષા 17 મે સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝારખંડ
ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ (જેએસી) એ 4 મેથી યોજાનારી મેટ્રિક અને ઈન્ટરમિડીયેટ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ઓડિશા બોર્ડ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યમાં બોર્ડની પરીક્ષા જૂન 2021 સુધી મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે.
મણિપુર બોર્ડ
મણિપુરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી.