રાજ્યમાં આવતીકાલથી ધોરણ-10 અને 12ની શાળાઓ શરૂ થવા જઇ રહી છે. વિદ્યાર્થીઓને આવકારવા શાળા સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે શાળાઓ ખુલવા મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમારા નિર્ણયને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે.
આવતીકાલે(11 જાન્યુઆરી) શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે
કોરોનાના લાંબાગાળા બાદ આવતીકાલે ફરી શાળાઓ ખુલશે. 11 જાન્યુઆરીથી શરૂ થતી શાળાઓ માટે સરકાર તૈયાર છે. રાજ્યની તમામ વિદ્યાર્થીઓને આવતીકાલથી સરકારી ગાઇડલાઇન મુજબ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જેના માટે શાળા સંચાલકો શાળાના તમામ રૂમોની સાફ સફાઇ અને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના થર્મલ સ્ક્રિનિંગ બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર જળવાય તેની તકેદારી રાખવામાં આવશે.
ત્યારે શાળા શરૂ થવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, 10 માસના લાંબા ગાળા બાદ કેબિનેટે યોગ્ય નિર્ણય કર્યો છે. નિર્ણય જાહેર થયાના બીજા દિવસે તમામ DEO સાથે ચર્ચા કરી હતી. કોરોનાની SOPનું સંપૂર્ણ પાલન કરવાની સુચના અપાઈ છે. શાળાના સેનિટાઈઝેશન સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવા સુચન કર્યા છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફના તાપમાન માપ્યા બાદ શાળામાં પ્રવેશ મળશે. બાળકોને ક્લાસમાં અંતર રાખીને બેસવાની વ્યવસ્થા થશે. વિદ્યાર્થીઓ રિસેશમાં એકઠા ન થાય તેના પર ધ્યાન રખાશે.
શાળા શરૂ કરવા બાબતે સરકારે શરૂ જાહેર કરી SOP
રાજ્યમાં 11 જાન્યુઆરીથી શાળા-કોલેજો શરૂ થશે
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ થશે
કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં શાળા-કોલેજો શરૂ નહીં થાય
કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી વિદ્યાર્થી-સ્ટાફના પ્રવેશ પર પ્રતિબંધ
વિદ્યાર્થીઓ સ્કૂલે ન આવવા માંગે તેમના પર દબાણ કરી શકાશે નહીં
વિદ્યાર્થીઓ લાવવાની જવાબદારી શાળાની
શાળાએ ન આવતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું રહેશે
હોસ્ટેલમાં એક રૂમમાં એક વિદ્યાર્થી જ રહી શકશે
તમામ શાળાએ કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવાનું રહેશે
વિદ્યાર્થીઓને આવકાર માટે વિશેષ કાર્યક્રમનું આયોજન
આવતીકાલે શાળામાં આવતા વિદ્યાર્થીઓને મંત્રીઓ આવકારશે. કૌશિક પટેલ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને આવકારશે. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કલોલ ઉપસ્થિત રહેશે. તો પ્રદીપસિંહ જાડેજા અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈને તમામ મંત્રીઓને અલગ અલગ જિલ્લા ફાળવાયા છે. આર.સી ફળદુ, ગણપત વસાવા, સૌરભ પટેલ અને વિભાવરી દવે સહિતના મંત્રીઓને જવાબદારી સોંપાઇ છે. જોકે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓફલાઇનની સાથે ઓનલાઇન અભ્યાસ પણ શરુ રખાશે. કારણ કે સરકારના નિર્ણય અને શાળાઓની તૈયારી બાદ પણ સંભાવના છે કે કેટલાક વાલીઓ બાળકોને કોરોનાના ડરના કારણે શાળાએ મોકલવા માટે તૈયાર ન થાય. એટલા માટે જ શાળાઓ તરફથી ઓનલાઇન અભ્યાસનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.