રાજ્ય શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વિદ્યા સહાયકોની ભરતીનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.
દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે
આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે
ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિદ્યા સહાયકની ભરતીને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અલગ અલગ વિભાગો દ્વારા યુવાનોની ભરતી થાય તે માટે સૂચનાઓ આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ અગાઉ વિદ્યા સહાયક અંગેની વાત કરવામાં આવી હતી. દિવ્યાંગ માટે 3 ટકાને બદલે 4 ટકા કરવાની વહીવટી પ્રોસેસ પૂર્ણ થઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે. જેમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી થશે. ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાશે. જેનો ટેટના ઉમેદવારોને લાભ મળશે.
જીતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, વડનગર, અમરેલી, મોરબી, રાજકોટ અને પાલનપુરમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. ગાંધીનગર, સુરત અને અમદાવાદમાં પણ આનો લાભ મળશે. કન્યા માટેની પોલિટેકનીક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.
તેમણે જણાવ્યું છે કે, સામાજિક ન્યાય અને અધિકારી ન્યાય વિભાગમાં પ્રક્રિયા પૂર્ણ થઇ છે. વિભાગે પણ ઝડપથી આ ઠરાવમાં પ્રક્રિયા થાય. તેના પર સહી કરવામાં આવી છે. તેથી આવનારા દિવસોમાં વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા અંગે કામગીરી કરવામાં આવશે.
ટેટ ઉમેદવારો લાંબા સમયથી જોઈ રહ્યા છે રાહ
શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ અગાઉ બાંહેધરી આપતા કહ્યું હતું કે GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. ત્યારે હવે 3300ની આ ભરતી ખૂબ જ ઝડપ લેવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત થતાં તૈયારી કરતાં ઉમેદવારોને હાશકારો થયો છે.