દિલ્હી હાઈકોર્ટે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના દિકરા આદિત્ય ઠાકરેને માનહાનિ મામલે સમન્સ પાઠવ્યું છે.
રાહુલ ગાંધી બાદ હવે ઠાકરે પરિવાર મુશ્કેલીમાં
માનહાનિ કેસમાં હાઇકોર્ટે પાઠવ્યું સમન્સ
ઉદ્ધવ, આદિત્ય અને સંજય રાઉતને સમન્સ
એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલે માનહાનિ મામલે ફરિયદા દાખલ કરાવી છે. જેમાં આ સમન્સ પાઠવાયું છે. કોર્ટે શિવસેના નેતા સંજય રાઉતને પણ સમન્સ મોકલ્યું છે. કોર્ટ હવે આ મામલે 17 એપ્રિલે સુનાવણી કરશે.
શું છે મામલો?
શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં ગત દિવસોમાં એક લેખ લખાયો હતો. જેમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાહુલ રમેશ શેવાલનો ઉલ્લેખ કરાયો હતો. જે લેખને લઈને રાહુલ રમેશ શેવાલે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરૂદ્ધ દીવાની માનહાનિની ફરિયાદ દાખલ કરાવી હતી. શિવસેનાનો આરોપ છે કે, આ લેખથી તેમની છાપને નુકસાન થયું છે. જણાવી દઈએ કે, સામનાના જે લેખને લઈને રાહુલ રમેશ શેવાલે કેસ દાખલ કર્યો છે, તેમની હેડલાઈન હતી, 'રાહુલ શેવાલેની કરાચીમાં હોટલ, રિયલ એસ્ટેટનો બિઝનેસ!' શેવાલેનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ પાયાવિહોણા સમાચાર જાહેર કરવામાં આવ્યા અને તેમની સામાજિક છાપને નુકસાન પહોંચાડવામાં આવ્યું.
જસ્ટિસ પ્રતીક જાલાને ઉદ્ધવ, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને આ સમન્સ મોકલ્યું છે. હાઈકોર્ટે ગુગલ, ટ્વિટર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને પોતાનો લેખિત જવાબ 30 દિવસમાં મોકલવાનો આદેશ કર્યો છે. શિવસેના નેતા રાહુલ શેવાલે તેમની ખરાબ છાપ કરનારા કન્ટેન્ટ સોશિયલ મીડિયા પરથી હટાવવાની માંગ પણ કરી છે.