બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Deadly negligence of the Heritage Department: Survey of Cot area heritage building is not recorded!
ADVERTISEMENT
યુનેસ્કો દ્વારા બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું. તે વખતે દિલ્હી અને મુંબઇ જેવાં શહેર સ્પર્ધામાં હોવા છતાં અમદાવાદે બાજી મારી હતી. કોટ વિસ્તારનાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં પોળનાં મકાનના આધારે શહેરને આ ગૌરવ મળ્યું હતું. જૂની કાષ્ઠશૈલીનાં અદભુત નકશીકામ ધરાવતાં આ મકાન શહેરની અસ્મિતા છે. આ અસ્મિતાને ટકાવી રાખવી એ મ્યુનિસિપલ તંત્રની પહેલી ફરજ હોવા છતાં આજે તેના પર જોખમ તોળાયું
બિલ્ડર માફિયાનો આતંક તો જાણે કે કોટ વિસ્તારમાં છે, પરંતુ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ પણ પોતાની જવાબદારી નિભાવવામાં મહદ્અંશે નિષ્ફળ નીવડ્યું છે. હેરિટેજ વિભાગની ઘોરબેદરકારીનું ઉત્તમ ઉદાહરણ હેરિટેજ મકાનના સર્વેનું છે. કોટ વિસ્તારનાં સઘળાં હેરિટેજ મકાનનો સર્વે તો આ વિભાગ દ્વારા કરાયો છે, પરંતુ તેનો રેકોર્ડ રખાયો નથી એટલે કેટલાં મકાન જમીનદોસ્ત થઇને આધુનિક શૈલીનાં રહેણાક અથવા કોમર્શિયલ બિલ્ડિંગમાં ફેરવાયાં છે. તો કેટલાંક મકાનમાં ઓછાવત્તા અંશમાં "વાયોલેશન" કરાયું તેની કોઇ વિગત આશ્ચર્યજનક રીતે હેરિટેજ વિભાગ પાસે નથી.
ADVERTISEMENT
મ્યુનિસિપલતંત્ર દ્વારા સેપ્ટ પાસે હેરિટેજ સિટીનો યુનેસ્કોમાં દાવો કરવા કોટ વિસ્તારનાં હેરિટેજ મકાનનો સર્વે કરાયો હતો. ત્યારબાદ આ સર્વેના આધારે સેપ્ટ દ્વારા ડોઝિયર બનાવાયું હતું. સેપ્ટના સર્વે મુજબ તંત્ર દ્વારા કોટ વિસ્તારનાં કુલ રર૩૬ મકાનને હેરિટેજ જાહેર કરાયાં હતાં, જોકે આ અસ્મિતા જોખમાઇ છે.
આ હેરિટેજ મકાન, ચબૂતરા, કોટની દીવાલ વગેરે હેરિટેજ મિલકતોની દેખરેખ, જાળવણી માટેનો હેરિટેજ વિભાગ નખ-દાંત વગરના વાઘ-સિંહ જેવો છે. હેરિટેજ વિભાગ પાસે એસ્ટેટ વિભાગની જેમ ગેરકાયદે બાંધકામ થતાં રોકવાં, સીલ મારવાં કે તેને તોડી નાખવાનો અધિકાર નથી, પરંતુ હેરિટેજ મકાનની જાળવણીના મામલે પણ હેરિટેજ વિભાગ મહદ્અંશે નિષ્ફળ નીવડ્યો છે. હેરિટેજ મકાન પર હેરિટેજ પ્લેટ લગાવવા માટે મકાન માલિકનો વિશ્વાસ જીતવો કે હેરિટેજ મકાનના ફાયદાઓ તેમને સમજાવવામાં હેરિટેજ વિભાગને ખાસ સફળતા મળી નથી એટલે ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ) મેળવવાના મામલે પણ હેરિટેજ મિલકતધારક ખાસ રસ દાખવતા નથી.
ADVERTISEMENT
આ તો ઠીક, થોડા મહિના અગાઉ હેરિટેજ મકાનોમાં થયેલી તોડફોડનો મામલો ચગતાં તંત્ર દ્વારા કુલ ૩૩ બિલ્ડિંગને સીલ મરાયાં હતાં, જે પૈકી આરંભે શૂરા એવા એસ્ટેટ વિભાગે કેટલાંક કોમર્શિયલ બિલ્ડિંગ પર હથોડા વિંઝ્યા હતા, પરંતુ આમાંનાં કેટલાંક મકાન તો નવાં રંગ-રૂપ સાથે રહેણાક બિલ્ડિંગમાં ફેરવાઇને ત્યાં લોકો વસવાટ કરી રહ્યા હોઇ તંત્રે ભેદી મૌન પાળ્યું છે. આવાં કુલ ૧૬ મકાનના પ્લાનને મંજૂરી માટે મુકાતાં નવો વિવાદ સર્જાયો છે. બીજી તરફ હેરિટેજ વિભાગને તમામ રર૩૬ હેરિટેજ મકાનનો સર્વે કરવાની ફરજ પડી હતી, જોકે આ ફરજ નિભાવવામાં હેરિટેજ વિભાગે ઘોર બેદરકારી દાખવી છે.
હેરિટેજ વિભાગ દ્વારા સર્વે હેઠળના પત્રકમાં હેરિટેજ મકાનનું વર્ણન, વોર્ડ, ગ્રેડેશન વગેરે દર્શાવીને તેમાં છેડછાડ કરાઇ છે કે કેમ તેને લગતું ઓબ્ઝર્વેશન, હેરિટેજ યાદી મુજબ મકાનનો વપરાશ, હાલની સ્થિતિએ મકાનનો વપરાશ વગેરે બાબતોનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ તમામ મકાનનો સર્વે કરીને તે મુજબ પત્રકના દરેક કોલમમાં નોંધ કરાઇ હતી એટલે હેરિટેજ વિભાગ પાસે તમામ રર૩૬ હેરિટેજ મકાનનાં સ્ટેટસ હોવાં જોઇએ, જેના આધારે આ વિભાગ ચોક્કસપણેે કહી શકે કે કેટલાં હેરિટેજ મકાન આજની સ્થિતિએ સલામત છે, જોકે હેરિટેજ વિભાગને આશ્ચર્યજનક રીતે આ બાબતની જાણકારી નથી.
ADVERTISEMENT
હેરિટેજ વિભાગનાં ઉચ્ચ વર્તુળો કહે છે કે પ્રત્યેક મકાનનો સર્વે રિપોર્ટ મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર, એડિશનલ સિટી ઇજનેર અને ડેપ્યુટી ટીડીઓને મોકલાવી દેવાય છે એટલે સર્વે હેઠળ કરાયેલા ઓબ્ઝર્વેશનની કોઇ માહિતી નથી. જ્યારે મધ્ય ઝોનનાં ઉચ્ચ વર્તુળો કહે છે કે હેરિટેજ વિભાગનાે સર્વે રિપોર્ટ પૂરેપૂરો જોવાયો નથી એટલે કેટલાં મકાનમાં વાયોલેશન થયું છે તેની ચોક્કસ વિગત નથી, જોકે હેરિટેજ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કાનાં ર૦૦થી વધુ મકાનના સર્વે રિપોર્ટ તપાસતાં ૩પ ટકા મકાનમાં વાયોલેશન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
સ્ટોરીઃ ભરત વ્યાસ, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.