રાજ્યમાં કોરોના વાયરસ બેફામ બન્યો છે. એક તરફ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન દિવાળી સુધીમાં કોરોના પર કાબૂ મેળવવાની અને વેક્સિનની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટમાં ફરીવાર ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધી રહેલા કેસને ધ્યાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોમાં કોરોનાની કામગીરી માટે 2 અધિકારીઓની નિમણૂંક કરી છે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા CM રૂપાણીનો નિર્ણય
રાજકોટમાં કોરોનાની કામગીરી માટે 2 અધિકારીની નિમણૂક
મિલિન્દ તોરવણે અને મેહુલ દવેની નિમણૂક કરાઈ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત બાદ સૌરાષ્ટ્રના રાજકોટમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. આ બાબત ખરેખર ચિંતાજનક છે ત્યારે ગઇકાલે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટ દોડી ગયા છે અને કોરોનાના વાયરસના વધી રહેલા કેસ અને વર્તમાન સ્થિત મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા. ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને 2 અધિકારીઓની નિમણૂંક કરી છે.
2 અધિકારીઓની CM રૂપાણીએ કરી નિમણૂંક
રાજકોટમાં કોરોનાની કામગીરી માટે મિલિન્દ તોરવણે અને મેહુલ દવેની નિમણૂંક કરવામાં આવી છે. આ બંન્ને અધિકારીઓમાં સરકારની કામગીરીનું કો-ઓર્ડીનેશન મિલિન્દ તોરવણે કરશે જ્યારે મહાનગરપાલિકાની કામગીરી મેહુલ દવે સંભાળશે. આ સાથે જ અમદાવાદથી વિશેષ ડોક્ટરોની ટીમ પણ રાજકોટ રવાના પણ કરી હતી.
જયંતિ રવિએ રાજકોટની 5 દિવસીય મુલાકાતે
સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય વિભાગના 3 તબીબ સાથે અગ્ર સચિવ જયંતિ રવિ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ રાજકોટમાં 6 દિવસ રોકાણ કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની સ્થિતિને જોતા 100 વધુ વેન્ટીલેટર રાજકોટ હોસ્પિટલને અપાશે. રાજકોટ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાશે. તેમજ ઓક્સિજન સિસ્ટમ વધારાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલ લોકોનું શોષણ કરશે તો કાર્યવાહી થશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા 1280 નવા કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1280 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 96,435 પર પહોંચ્યો છે.
ટેસ્ટિંગમાં સતત વધારો
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 23,31,836 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 77,782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1280 કેસ જ્યારે 1025 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 77,782 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.66 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3022 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં હાલ 15631 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આઁકડો 96 હજારને પાર ભલે પહોંચ્યો હોય પરંતુ 15631 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે.