પોતાના પાડોશી દેશો સાથે સરહદ વિસ્તારમાં મોરચો ખોલનાર ચીને હવે પહેલી વખત માન્યું કે તેના ભૂટાન સાથે પૂર્વી વિસ્તારમાં સરહદ વિવાદ છે. ચીનની આ સ્વીકૃતિ ભારત માટે એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે ભૂટાનની પૂર્વી સરહદ અરૂણાચલપ્રદેશ સાથે જોડાય છે, જેના પર વિસ્તારવાદી ચીન પોતાનો નાપાક દાવો જણાવી રહ્યું છે. ચીનનું કહેવું છે કે તેનો ભૂટાન સાથે ક્યારે સરહદ વિવાદ શાંત થયો નથી.
એક મીડિયા રિપોર્ટ મુજબ ચીનના વિદેશ મંત્રાલયે મંદારિન નિવેદનમાં કહ્યું કે ભૂટાન સાથે ઘણા સમયથી પૂર્વી, મધ્ય અને પશ્ચિમી વિસ્તારની સરહદ પર વિવાદ ચાલે છે. ભારત તરફ ઇસારો કરતા ચાલાક ચીને કહ્યું કે કોઇ ત્રીજા પક્ષે ચીન-ભુટાન સરહદ વિવાદમાં પડવાની જરૂર નથી.
જ્યારે ભૂટાનના સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ ચીન અને ભૂટાન વચ્ચે પૂર્વી વિસ્તારમાં ક્યારેય સરહદ વિવાદને લઇને વાતચીત થઇ નથી. બંને પક્ષોએ મધ્ય અને પશ્ચમી વિસ્તારમાં સરહદ વિવાદ ચાલી રહેલાની પુષ્ટી કરી હતી. એટલુ નહી પરંતુ વિવાદનું નિરાકરણ લાવવા માટે એક સમજૂતિ પર સહમતિ પણ બની હતી.
ચીન અને ભૂટાને 1984થી 2016 સુધીમાં 24 વખત બેઠક કરી. પરંતુ આ દરમિયાન માત્ર પશ્ચિમ અને મધ્ય વિસ્તાર પર વિવાદ પર ચર્ચા થઇ હતી. જ્યારે પૂર્વી વિસ્તારના સરહદી વિવાદ અંગે ચીને પ્રથમ વખત જણાવ્યું છે. ભૂટાનના એક જાણકારે જણાવ્યું કે આ ચીનનો પહેલી વખત નવો દાવો છે.