બીઆરટીએસ બસ સર્વિસના દરરોજના દોઢ લાખ પેસેન્જર્સ માટે સારા સમાચાર છે. ગઇ તા.રપ ડિસેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે અગાઉની ૧૮ ઈલેક્ટ્રિ બસ બાદ વધુ ૩ર બસનું લોકાર્પણ કરાયું હતું. બીઆરટીએસના કાફલામાં નવી ઈલેક્ટ્રિક બસ ઉમેરાતાં પિકઅવર્સ દરમ્યાન પેસેન્જર્સને દર આઠ મિનિટે બસ મળશે તેવો તંત્રનો દાવો છે.
મણિનગરથી ગોતા અને ભાડજથી નવી બસ મુકાઇ
જાહેર પરિવહન ક્ષેત્રે એએમટીએસ બાદ બીઆરટીએસ મહત્વપૂર્ણ બની
એસ.પી. રિંગ રોડ સહિતના રૂટમાં નવી બસ મુકાઇ
શહેરમાં જાહેર પરિવહન ક્ષેત્રે એએમટીએસ બાદ બીઆરટીએસ મહત્વપૂર્ણ બની છે. બીઆરટીએસ બસના રોજના ૧.પ લાખ પેસેન્જર ઉપયોગ કરતા હોય તેનાથી તંત્રને દૈનિક રૂ.૧૮ થી ર૦ લાખની આવક થાય છે.
તંત્ર દ્વારા કુલ ૧૪ રૂટ પર ૪૭ સીએનજી બસ, ૧૮૦ ડીઝલ બસ અને પ૦ ઈલેક્ટ્રિક બસ મળીને કુલ ર૭૭ બસ દોડાવવાનો કાફલો છે. જોકે અમુક બસ સ્પેરમાં મુકાતી હોઈ દરરોજ ર૬૦ બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડાવાઇ રહી છે.
બીઆરટીએસના સત્તાવાળા પાસે વધુ ૩ર ઈલેક્ટ્રિક બસ આવતાં તેને મણિનગરથી ગોતા અને ભાડજથી એસ.પી. રિંગ રોડ (ઓઢવ) સહિતના રૂટ પર દોડતી કરાઇ છે. અત્યારે સવારે ૭-૩૦ થી ૧૦-૩૦ વાગ્યાના અને સાંજે પ-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધીના પિકઅવર્સમાં તંત્ર દ્વારા ૧ર મિનિટે એક બસ દોડી રહી છે.
જોકે હવે કાફલામાં ઈલેક્ટ્રિક બસ ઉમેરાતાં તંત્રે પેસેન્જર્સને દર આઠ મિનિટે એક બસ મળશે તેવો દાવો કર્યો છે. જ્યારે નોન પિકઅવર્સમાં દર ૧ર થી ૧પ મિનિટે એક બસ મળતી હોઈ તેની ફ્રિકવન્સી યથાવત્ રખાશે.