આજની ભાગદોડવાળી અને અનહેલ્ધી લાઇફ સ્ટાઇલના કારણે બહુ મોટી સેંખ્યામાં લોકો એસિડિટીથી પિડાય છે. મોટા ભાગનાં લોકો એલોપથી દવાનો સહારો લઇને તેમાંથી રાહત મેળવતા હોય છે. કેટલાંકને તો દરરોજ એસિડિટીની ગોળી કે સિરપ લેવાની આદત પડી જાય છે.
પેટના દુખાવા અને એસિડિટી માટે વપરાતી દવામાં કેન્સર થાય તેવાં તત્વો
એસિડિટીની દવાની આદત પાડનારા લોકો ખાસ ચેતજો
નાઇટ્રોસેમાઇન કેમિકલથી કેન્સર થવાનો ખતરો
એસિડિટીની દવાને લોકો એમ માનીને લેતા હોય છે કે તેનાથી કોઇ નુકસાન થતું નથી પરંતુ તમને પણ એસિડિટીની દવાની આદત પડી ગઇ હોય તો ચેતી જજો. કેમ કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે ભારત સહિતનાં દેશોમાં પેટના દુખાવા અને એસિડિટી માટે વપરાતી દવામાં કેન્સર થાય તેવા કેટલાક તત્વો રહેલા છે.
ભારતમાં ઘણી બઘી જાણીતી ફાર્માં કંપનીઓની એસિડિટીની દવામાં રેનિટિડિન વપરાય છે. આ દવામાં ઓછી માત્રામાં નાઇટ્રોસેમાઇન હોય છે જેને નાઇટ્રોસોડી ઇમિથાઇલ એમાઇન પણ કહે છે. આ કેમિકલથી કેન્સર થવાનો ખતરો રહે છે તેવું અનેક લેબોરેટરી ટેસ્ટમાં જાણવા મળ્યું છે. રેનિટિડિન જઠરમાં એસિડનું પ્રમાણ ઘટાડે છે. ભારતમાં એસિડિટી ઉપરાંત તેનાથી થતી પાચનની સમસ્યા તથા છાતીમાં બળતરામાં ડોકટરો છુટથી આ દવા લખી આપે છે.
યુરોપિયન મેડિસિન્સ એજન્સી એકત્રિત કરી રહ્યું છે એસિડિટીની દવાથી થતી આડઅસરો
અનેક લોકો તો સહેજ એસિડિટી જેવું લાગે ત્યારે જાતે જ આવી દવાઓ લેતા હોય છે. યુરોપિયન મેડિસિન્સ એજન્સી પણ રેનિટિડિનયુકત એસિડિટીની દવાથી થતી આડઅસરો અંગેની માહિતી એકત્ર કરી રહી છે. આ અંગે ભારતનાં સેન્ટર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ આપેલી ચેતવણીની અમને જાણ છે તેમ છતાં આ દવાઓ સામે કોઇ કાર્યવાહી કરતાં પહેલા તેના પરનાં વધુ ડેટાની રાહ જોઇશું. એફડીએએ એક સામાન્ય એલર્ટ આપ્યું છે અને અત્યંત ગંભીર નથી તેમ છતાં દર્દીઓએ દવા જાતે અને વધુ પડતો સમય સતત ન લેવી જોઇએ.