બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / AMC કમિશનર બંછાનિધી પાણીનું મોટું નિવેદન, અમદાવાદ માટે હજુ બે દિવસ ભારે વરસાદનું સંકટ, જુઓ આજે કયા વિસ્તારમાં પડ્યો કેટલો વરસાદ
Last Updated: 06:54 PM, 23 July 2026
અમદાવાદ: શહેરમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ શહેરમાં સરેરાશ 113.56 મિમી (4.47 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અંદાજે 10 ઇંચ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અંદાજે 6 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ADVERTISEMENT
AMCના જણાવ્યા મુજબ સૌથી વધુ વરસાદ બોપલમાં 233.50 મિમી (9.19 ઇંચ) નોંધાયો હતો. ત્યારબાદ જોધપુરમાં 223.50 મિમી (8.80 ઇંચ), સરખેજ અર્બન હેલ્થમાં 221.50 મિમી (8.72 ઇંચ) અને સરખેજમાં 221 મિમી (8.70 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવમાં 203 મિમી (7.99 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું કે સાંજે 8 વાગ્યાથી માત્ર ત્રણ કલાકમાં જ લગભગ 6 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે ખાસ કરીને SG હાઈવે અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમણે જણાવ્યું કે ઓછી અવધિમાં અત્યંત ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
ભારે વરસાદ દરમિયાન AMCના કંટ્રોલ રૂમને 102 સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી, જ્યારે 41 વૃક્ષો પડ્યાના કોલ નોંધાયા હતા. ઉપરાંત મકાન અને છત ધરાશાયી થવાની પાંચ ફરિયાદો પણ મળી હતી. બીજી તરફ 66 સ્થળોએ પાણી ઓસરી જતાં સ્થિતિ સામાન્ય બની હતી.
ADVERTISEMENT
વરસાદ દરમિયાન ફાયર અને બચાવ ટીમોએ 8 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા. સનસિટી વિસ્તારમાં લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ગોતા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી કારમાંથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે એક સ્કૂલ બસમાં ફસાયેલા 20ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પાણી ભરાવાના કારણે શહેરના 8 અંડરપાસ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા, જેમાંથી બાદમાં 6 અંડરપાસ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. શહેરમાં પાણીના ઝડપી નિકાલ માટે 26 વરુણ પંપ સતત કાર્યરત રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા, જ્યારે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનની મળીને 60થી વધુ સોસાયટીઓ વરસાદથી પ્રભાવિત થઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
ADVERTISEMENT
વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વાસણા બેરેજનું લેવલ 124 સુધી કરવામાં આવ્યું છે તેમજ 20 દરવાજા ખોલી પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શહેરની શાળા અને કોલેજોમાં બે દિવસ રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કામગીરી વધુ અસરકારક બને તે માટે એક વધારાના ડેપ્યુટી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે અને ટેક્નિકલ સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે.
તેમણે નાગરિકોને અપીલ કરી કે અંડરપાસ બંધ કરવામાં આવે ત્યારે ત્યાં પ્રવેશ ન કરે, પાણી ઉકાળીને પીવે અને વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળે. તેમણે જણાવ્યું કે કોર્પોરેશનનું પીવાનું પાણી સુરક્ષિત છે, છતાં સાવચેતી રાખવી જરૂરી છે.
તેમણે જણાવ્યું કે સમગ્ર તંત્ર, કોર્પોરેશન, પોલીસ અને અન્ય વિભાગો ફિલ્ડમાં સતત કામગીરી કરી રહ્યા છે અને આગામી બે દિવસ માટે પણ તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.