બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવામાં પ્રદૂષણ વધ્યું તો તરત મળશે એલર્ટ! શહેરમાં 100 સ્થળે મુકાશે એર ક્વોલિટી સેન્સર, ₹2 કરોડથી વધુનો ખર્ચ
Last Updated: 02:00 PM, 6 August 2026
વાયુ પ્રદૂષણની વધતી સમસ્યા સામે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્નોલોજીનો સહારો લઈ રહ્યું છે. શહેરમાં હવાની ગુણવત્તાનું સતત અને સચોટ નિરીક્ષણ કરવા માટે રૂ. બે કરોડથી વધુના ખર્ચે ૧૦૦ હાઇટેક આઉટડોર એર ક્વોલિટી મોનિટરિંગ સેન્સર્સ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (એનસીએપી) તથા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી શહેરના દરેક મહત્ત્વના વિસ્તારમાં ૨૪ કલાક રિયલ ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા અમદાવાદને ‘નોન-એટેનમેન્ટ સિટી’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તેના અનુસંધાને શહેરનાં પ્રદૂષણ હોટસ્પોટ્સની ઓળખ કરી સમયસર નિયંત્રણાત્મક પગલાં લઈ શકાય તે માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

પ્રોજેક્ટ હેઠળ નિયુક્ત થનારી એજન્સી ૧૦૦ સેન્સર્સનો પુરવઠો, સ્થાપન, ટેસ્ટિંગ અને કમિશનિંગ ઉપરાંત આગામી ત્રણ વર્ષ સુધી તેની કામગીરી અને જાળવણી પણ કરશે. સેન્સરમાં ખામી સર્જાય તો ૨૪ કલાકમાં તેને કાર્યરત કરવાનું ફરજિયાત રહેશે. વિલંબ બદલ દૈનિક રૂ. પાંચ હજારનો દંડ ફટકારાશે, જ્યારે સમગ્ર સિસ્ટમ માટે ૯૯ ટકા અપટાઇમ જાળવવાની શરત પણ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આધુનિક લેસર આધારિત ટેક્નોલોજી ધરાવતાં સેન્સર્સ હવામાં રહેલા PM1, PM2.5, PM10 અને PM100 જેવા સૂક્ષ્મ રજકણો ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ઓઝોન જેવા ઝેરી વાયુઓનું પણ રિયલ ટાઇમ માપન કરશે, સાથે તાપમાન અને ભેજ અંગેની માહિતી પણ ઉપલબ્ધ થશે. શહેરનાં તમામ સેન્સર્સમાંથી મળતો ડેટા કેન્દ્રીય વેબ આધારિત ડેશબોર્ડ સાથે જોડાશે. ગૂગલ મેપ પર કલર કોડેડ ડિસ્પ્લે મારફતે કયા વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે તે એક નજરે જાણી શકાશે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઈ)ની આપોઆપ ગણતરી થશે અને પ્રદૂષણ નિર્ધારિત મર્યાદા વટાવે ત્યારે સંબંધિત અધિકારીઓને એસએમએસ તથા ઇ-મેઇલ દ્વારા તાત્કાલિક એલર્ટ મોકલાશે.
ADVERTISEMENT
સેન્સર્સમાં 16 થી 24 કલાકનું સોલર અથવા બેટરી બેકઅપ રહેશે, જેથી વીજ પુરવઠો બંધ રહે તો પણ ડેટા એકત્રિત થવાનું ચાલુ રહેશે. દરેક સેન્સરમાં ફોર-જી/જીએસએમ કનેક્ટિવિટી અને ઇન્ટર્નલ મેમરીની સુવિધા રહેશે તેમજ ત્રણ વર્ષ સુધીનો ડેટા સુરક્ષિત રાખવામાં આવશે. સચોટ રીડિંગ માટે તમામ સેન્સર્સને સ્થાપન પહેલાં જીપીસીબી અને સીપીસીબીના રેફરન્સ સ્ટેશન સાથે ૧૫ દિવસ સુધી કો-લોકેશન કેલિબ્રેશન કરવામાં આવશે. ત્યાર બાદ દર મહિને ઓટોમેટિક કેલિબ્રેશન દ્વારા તેની ચોક્સાઈ જાળવવામાં આવશે, જ્યારે નવાં એર ક્વોલિટી સેન્સર્સના નેટવર્કથી મોસમ પ્રમાણે પ્રદૂષણમાં થતા ફેરફારોનું પણ સતત વિશ્લેષણ થઈ શકશે, જેના આધારે શહેરમાં ધૂળ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્મોગ ગન અને અન્ય નિયંત્રણાત્મક પગલાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે.
ADVERTISEMENT
આ સુવિધા માટે એએમસી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એપીઆઈ મારફતે સંકલિત કરવામાં આવશે. આગામી સમયમાં નાગરિકો પણ પોતાના વિસ્તારની હવાની ગુણવત્તા અને એક્યૂઆઈની માહિતી મોબાઇલ એપ્લિકેશન પર લાઇવ જોઈ શકશે. આ પ્રોજેક્ટના કારણે શહેરના કયા વિસ્તારમાં, કયા સમયે અને કયાં કારણોસર પ્રદૂષણ વધે છે તેનો ચોક્કસ ડેટા ઉપલબ્ધ બનશે અને તેના આધારે ટ્રાફિક વ્યવસ્થાપન, બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ, સ્મોગ ગન અને પાણીના છંટકાવ જેવી કામગીરી વધુ અસરકારક રીતે કરી શકાશે, પરિણામે શહેરમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે ડેટા આધારિત અને ઝડપી નિર્ણય લેવાનું તંત્ર માટે વધુ સરળ બનશે.
ADVERTISEMENT
અર્બન એમિશન અને સીપીસીબીના અભ્યાસ મુજબ અમદાવાદમાં વાયુ પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ઔદ્યોગિક ઉત્સર્જન છે, જે કુલ પ્રદૂષણમાં અંદાજે ૩૯થી ૫૫ ટકા હિસ્સો ધરાવે છે. નરોડા, વટવા, ઓઢવ અને ચાંદખેડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી નીકળતા ધુમાડા અને ઉત્સર્જન તેનાં મુખ્ય કારણો છે. બીજા ક્રમે વાહનોનું પ્રદૂષણ આવે છે, જેનો હિસ્સો આશરે ૨૨થી ૨૫ ટકા છે. શહેરમાં ૨૫ લાખથી વધુ નોંધાયેલાં વાહનો અને સતત વધી રહેલા ટ્રાફિક જામના કારણે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ (NOx)નું ઉત્સર્જન વધી રહ્યું છે. ઉપરાંત રસ્તાની ધૂળ અને બાંધકામ પ્રવૃત્તિઓથી ૧૫થી ૧૮ ટકા જેટલું પ્રદૂષણ ફેલાય છે, જ્યારે ખુલ્લામાં કચરો બાળવાની ઘટનાઓ અને પીરાણા ડમ્પિંગ સાઇટમાંથી પાંચથી આઠ ટકા જેટલું પ્રદૂષણ સર્જાય છે.
ADVERTISEMENT
સીપીસીબી અને જીપીસીબીનાં મોનિટરિંગ સ્ટેશનોના ડેટા મુજબ શહેરમાં વટવા જીઆઈડીસી, ઓઢવ, રખિયાલ, દાણીલીમડા, પીરાણા-ગ્યાસપુર, મણિનગર, રાયખડ, ચાંદખેડા અને બોપલ જેવા વિસ્તારો પ્રદૂષણનાં મુખ્ય હોટસ્પોટ્સ તરીકે ઓળખાય છે. ઔદ્યોગિક એકમો, ભારે વાહનવ્યવહાર, ડમ્પિંગ સાઇટ્સ અને ઝડપી બાંધકામ પ્રવૃત્તિઓના કારણે અહીં એક્યૂઆઈ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો અને પવનની ધીમી ગતિના કારણે પ્રદૂષકો જમીનની નજીક જ અટવાઈ રહે છે, પરિણામે શહેરનો એક્યૂઆઈ ઘણી વખત ૨૦૦થી ૩૦૦ વચ્ચે એટલે કે ‘પુઅર’થી ‘વેરી પુઅર’ શ્રેણીમાં પહોંચી જાય છે, જ્યારે ચોમાસા દરમિયાન વરસાદના કારણે હવામાં રહેલા કણો નીચે બેસી જતાં એક્યૂઆઈ સામાન્ય રીતે ૫૦થી ૧૦૦ વચ્ચે એટલે કે ‘ગુડ’થી ‘મોડરેટ’ શ્રેણીમાં રહે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.