અભિનેતા અક્ષય કુમારે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઇને અક્ષય કુમાર સોમનાથના દર્શને
અક્ષયે વર્ણવ્યા દર્શનના અનુભવો
ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્માણ કરાશે જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ
બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને લઇને સોમનાથની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે દાદા સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં તેમની સાથે બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સહિતના હાજર રહ્યા હતા. જેમણે સોમનાથ મહાદેવના અલૌકિક મહિમાના મુક્ત મને વખાણ કર્યા હતા.
સોમનાથ મંદિરમાં પ્રવેશતાની સાથે અલગ જ ઉર્જા અનુભવાઇ છે: અક્ષય કુમાર
અભિનેતા અક્ષય કુમાર ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરી ભાવવિભોર થયા હતા. આ તકે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અક્ષય કુમારે જણાવ્યુ હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે અલગ જ ઉર્જાનો અનુભવ થાઈ છે. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. જેના દર્શન માત્રથી ધન્યતા અનુભવાય છે. આ સાથે જ સમ્રાટ પૃથ્વીરાજ મુવીના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સોમનાથના અનુભવને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી.
દૂધ, ફળો સહિતની સામગ્રી ગરીબોને દેવા ટ્રસ્ટને વિનંતી
મહત્વનું છે કે, મુલાકાત દરમિયાન સોમનાથ મહાદેવને ચડાવવામાં આવતા દૂધ, ફળો સહિતની સામગ્રી ગરીબોને આપી દેવા અક્ષય કુમારે સોમનાથ મંદિર ટ્રસ્ટને સૂચન કર્યુ હતું. જે સુચનને વધાવી લઈ ટ્રસ્ટે વિનંતીને ગ્રાહ્ય રાખી હોવાનું ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું હતું. આ અગાઉ અક્ષય કુમારે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ત્યારે હવે અક્ષય કુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવ્યા છે જે દરમિયાન તેમની સાથે ફિલ્મની એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ ઉપસ્થિત રહી હતી.
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂનના રોજ થશે રિલીઝ
નોંધનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ હિંદી, તમિલ, તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મનું નામ પહેલા 'પૃથ્વીરાજ' હતું. જોકે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) ફાઇલ થયા બાદ મેકર્સે 27 મેના રોજ ફિલ્મનું ટાઇટલ 'સમ્રાટ પૃથ્વીરાજ' કર્યું છે. અક્ષય કુમારે ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત, માનવ વિજ લીડ રોલમાં છે.