શિવરાત્રીમાં 12 જ્યોતિર્લિંગના નામ અને સ્થળ માત્રનું નામ લેવાથી તમારા પાપોમાંથી મુક્તી થશે આવો જાણીએ તેમના નામ અને સ્થળ.
કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તેના બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક પાપો નષ્ટ થઈ જાય છે. પુરાણો અનુસાર શિવજી જ્યાં-જ્યાં ખુદ પ્રગટ થયા તે બાર જગ્યાઓ પર સ્થિત શિવલિંગોને જ્યોતિર્લિંગોના રૂપમાં પૂજાય છે. એવી માન્યતા છે કે આ જગ્યાઓ પર ભગવાન શિવ પોતે વિરાજમાન છે અને આ જગ્યાના દર્શનથી પાપમાંથી મુક્તિ મળે છે. અમે ભગવાન શિવના એવા જ સ્થાનો વિશે તમને જણાવી શું જેના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
સોમનાથ:
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલુ સોમનાથ જ્યોતિર્લિંગને આ પૃથ્વી પરનું પહેલુ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના સ્વયં ચંદ્રદેવએ કરી હતી. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. તેને અત્યાર સુધીમાં 17 વાર નષ્ટ કરવામાં આવ્યું છે અને તેનું પુનઃનિર્માણ કરાયું.
મલ્લિકાર્જુન:
આ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર શ્રીશેલ નામના પર્વત પર સ્થિત છે. આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાશ પર્વત સમાન કહેવાયું છે. કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દૈહિક દૈવિક તથા ભૌતિક તાપ નષ્ટ થઈ જાય છે.
મહાકાલેશ્વર:
આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈન નગરના ક્ષિપ્રા નદીના તટ પર સ્થિત છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશેષતા છે કે તે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. ત્યાંની ભસ્મારતી વિશ્વભરમાં પ્રસિદ્ઘ છે. લોકોનું માનવું છે કે તે જ ઉજ્જૈનની રક્ષા કરી રહ્યા છે.
ઓમકારેશ્વર:
આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશમાં નર્મદા કિનારે માન્ધાતા પર્વત પર સ્થિત છે. કહેવાય છે કે તેના દર્શનથી પુરુષાર્થ ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે. આ જ્યોતિર્લિંગ ઓંકાર અર્થાત ઓમના આકારમાં છે આ કારણે તેણે ઓમકારેશ્વરના નામથી ઓળખવામાં આવે છે.
કેદારનાથ:
આ જ્યોતિર્લિંગ હિલામયના કેદારનાથ નામના પહાડ પર સ્થિત છે. અહીં અલકનંદા તથા મંદાકિની નદીઓના તટ પર સ્થિત છે. બાબા કેદારનાથનું મંદિર બદ્રિનાથના માર્ગમાં સ્થિત છે. કેદારનાથનું વર્ણન સ્કન્દ પુરાણ અને શિવ પુરાણમાં મળે છે.
ભીમાશંકર:
ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં સહ્યાદ્રિ નામના પર્વત પર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની માન્યતા છે કે જો ભક્ત શ્રદ્ધાથી આ મંદિરના રોજ સવારે સૂર્ય નિકળવા બાદ દર્શન કરે છે તો તેના સાત જન્મોના પાપ દૂર થઈ જાય છે.
વિશ્વનાથ:
આ શિવલિંગ કાશીમાં સ્થિત છે. કહેવાય છે કે હિમાલયને છોડીને ભગવાન શિવે અહીં સ્થાયી નિવાસ બનાવ્યો હતો. એવું કહેવાય છે કે પ્રલય કાળનું પણ આ નગર પર કોઈ અસર નહોતી થઈ. આ માટે બધા ધર્મ સ્થળોમાં કાશીનું વધારે મહત્વ કહેવાય છે.
ત્ર્યંબકેશ્વર:
આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકથી 30 કિમી પશ્ચિમમાં ગોદાવરી નદીની નજીક સ્થિત છે. આ જ્યોતિર્લિંગની સૌથી નજીક બ્રહ્માગિરિ નામનો પર્વત છે. આ પર્વતથી ગોદાવરી નદી શરૂ થાય છે. ભગવાન શિવનું એક નામ ત્ર્યંબકેશ્વર પણ છે.
બૈજનાથ:
ઝારખંડના સંથાલ પરગનાના દુમકા નામના જનપદમાં આ શિવલિંગ સ્થિત છે. કહેવાય છે કે રાવણના તપના બળથી શિવલિંગને લંકા લઇ જઇ રહ્યો હતો પરંતુ રસ્તામાં વિચ્છેદ આવી જવાના કારણે શરત અનુસાર શિવજી અહીંયા સ્થાપિત થઇ ગયા.
રામેશ્વર:
આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યના રામનાથ પુરં નામના સ્થાનમાં સ્થિત છે. કહેવાય છે કે લંકા પર આક્રમણ કરતા પહેલા ભગવાન રામે શિવલિંગની સ્થાપના કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત હોવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે.
નાગેશ્વર:
ગુજરાતમાં દ્વારકાપુરીથી 17 માઈલ દુર આ જ્યોતિર્લિંગ આવેલું છે. કહેવાય છે કે ભગવાનની ઈચ્છાઅનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામકરણ કરવામાં આવ્યું છે. માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીંયા દર્શન માટે આવે છે તેની બધી જ શુભકામનાઓ પૂરી થાય છે.
ધુશ્મેશ્વર:
મહારાષ્ટ્ર રાજ્યમાં દૌલતાબાદથી 12 કિમી દૂર બેરૂલ ગામમાં આ જ્યોતિર્લિંગની સ્થાપના કરાઈ હતી. તેને ધૃસણેશ્વરના નામથી પણ ઓળખાય છે. દૂર-દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવે છે અને આત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે.