દરેક માણસે યમરાજ વિશે સાંભળ્યું હશે પણ શુ તમને ખબર છે કે આ યમરાજ કોણ છે? ગરૂડ પૂરાણમાં આ વિશે ખુબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. મૃત્યું પામેલા વ્યક્તિઓની જેમ કે આપણા પૂર્વજોની આત્મા જે જગ્યાએ નિવાસ કરે છે તે જગ્યાને પરલોક અથવા મૃત્યુલોક કહેવામાં આવે છે. આ મૃત્યુલોકના રાજા યમરાજ છે.
ગરૂડ પૂરાણમાં મૃત્યુ અને ત્યારબાદની તમામ ઘટનાઓ તમામ ક્રિયાઓ વિશે જણાવવામાં આવ્યું છે. જે અનુસાર યમરાજના મહેલને 'કાલિત્રી' મહેલ કહેવામાં આવે છે અને તેમના સિંહાસનને 'વિચાર ભૂ' કહેવામાં આવે છે. પદ્મ પૂરાણમાં ઉલ્લેખ મળે છે કે યમલોક પૃથ્વીથી 86000 યોજન એટલે કે લગભગ 12 લાખ કિલોમીટર દુર છે. યમલોક વિશે કહેવામાં આવે છે કે તે ખુબ બિહામણુ છે. જ્યાં લાવેલા દરેક જીવોને જીવનમાં કરેલા કર્મ અનુસાર સજા કરવામાં આવે છે.
ગરૂડ પૂરાણમાં યમલોકના ચાર દરવાજા વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં પૂર્વ દ્વારથી માત્ર ધર્માત્મા અને પુણ્યાત્માઓને પ્રવેશ મળે છે. દક્ષિણ દ્વારથી પાપીઓને પ્રવેશ મળે છે જ્યાં તેમને ઘણો ત્રાસ આપવામાં આવે છે. સાધુ-સંતોનીને ઉત્તર દિશાના દરવાજેથી પ્રવેશ મળે છે. જ્યારે દાન-પુણ્ય કરનાર વ્યક્તિને પશ્ચિમ દિશાથી પ્રવેશ મળે છે.
યમલોકના ભવનનું નિર્માણ દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માએ કર્યુ છે. યમરાજ સજા આપતા પહેલા પોતાના કેટલાક સલાહકારોની સલાહ લે છે. યમરાજાની સભામાં કેટલાક સુર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ સલાહકારની ભુમિકા નિભાવે છે. યમરાજાના પિતા સુર્ય દેવ અને માતાનું નામ સંજ્ઞા છે. તેમની બહેનનું નામ યમુના છે.