તેજસ વિમાન બનાવનાર ભારતની વૈજ્ઞાનિક સંસ્થા DRDO પર તમામ ભારતીયોને ગૌરવ છે. આ સંસ્થાનો સાચો વિકાસ કરવા માટે તેના ઉપર ગૌરવ લેવાની સાથે સાથે તે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તે જાણવી જરૂરી છે. ૬૦ વર્ષ જૂની DRDO આજે ઈસરો જેટલી પ્રખ્યાત થઇ શકી નથી. તેનું કામ કદાચ ઈસરો કરતા પણ વધુ અગત્યનું છે. તે ભંડોળની કમીના કારણે ઘણા પ્રોજેક્ટ્સ પુરા નથી કરી શકતું તો આપણે જાણવું જરૂરી છે કે આ સંસ્થા શું છે અને કઈ સમસ્યાઓનો તે સામનો કરે છે અને તેનો શું ઉકેલ નીકળી શકે.
તેજસ વિમાન દેશનું ગૌરવ ચોક્કસ છે પણ DRDO સંસ્થાની અસરકારકતા ખૂબ ઓછી છે.
DRDOએ ભારતને અનેક મિસાઈલોના સફળ પરીક્ષણ કરાવ્યા છે.
તે ઈસરો જેટલી સફળ સંસ્થા નથી બની શકી જેના કારણો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી.
તેને કેવી રીતે સફળ કરી શકાય તેના ઉપાયો પર જલ્દીથી અમલીકરણ થવું જોઈએ.
હાલમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ ફાઈટર પ્લેન ઉડાવનારા ભારતના પહેલા રક્ષામંત્રી બન્યા હતા. સમગ્ર દેશે નવા તેજસ વિમાનને વધાવ્યું હતું. આ સાથે જ તેજસ Mk 1ના પછીના તેજસ Mk 2ને ૨૦૨૨માં એર ફોર્સમાં સામેલ કરીને ૨૦૨૬માં તેનું ઉત્પાદન શરુ કરવામાં આવશે તેવી વાતો દિલ્હી એરોસ્પેસ સેમીનારમાં કરવામાં આવી હતી.
અહી ઉલ્લેખનીય છે કે ૪ જાન્યુઆરી ૨૦૦૧ના તેજસના પ્રથમ પરીક્ષણ બાદ તેજસને એર ફોર્સ સુધી પહોચતા ૧૪ વર્ષનો સમય લાગ્યો હતો. તે એર ફોર્સમાં IOC ફેઝમાં ૨૦૧૫માં પહોચ્યું હતું અને FOC ફેઝમાં તે ફેબ્રુઆરી ૨૦૧૯માં પહોચ્યું હતું. હજી તેજસ Mk 1નું વ્યવસ્થિત ઉત્પાદન પણ શરુ નથી થયું. ફક્ત ૧૨ તેજસ Mk 1 એરફોર્સ પાસે પહોચ્યા છે અને વધુ ૪૦ની જરૂર છે અને એવા સમયે સરકારે ૨૦૨૬ સુધીમાં તેજસ Mk2, જેની ડીઝાઇન પણ બાકી છે, તેનું ૨૦૨૬ સુધી ઉત્પાદન શરુ કરી દેવાના ઢોલ નગારા પીટી દીધા છે.
DRDO શું છે?
DRDOએ રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સંશોધન સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય ભારતીય સેનાને યુદ્ધ અને સુરક્ષા માટે નવા વિજ્ઞાન અને ટેકનોલોજીથી બનેલા સાધનો અને હથિયારો બનાવવાનું છે. તેના વડા સતીશ રેડ્ડી છે. તે મુખ્યત્વે પ્લેન્સ, મિસાઈલ્સ, નેવલ, રડાર, સબમરીન, ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે ક્ષેત્રે નવા સંશોધનો કરીને નવા સાધનો વિકસાવીને તેને ભારતીય સેનાને ઉપલબ્ધ કરાવે છે અને બીજા દેશની સેનાઓને તેનું વેચાણ પણ કરે છે.
DRDOના સફળ પ્રોજેક્ટ્સ
DRDOની સ્થાપના ૧૯૫૮માં થઇ હતી. ૧૦ લેબોરેટરીથી ચાલુ કરેલી DRDOની સફરમાં અત્યારે DRDO પાસે ૫૨ લેબોરેટરીનું નેટવર્ક અને ૫૦૦૦ વૈજ્ઞાનિકો તથા ૨૫૦૦૦થી વધુ સહાયકો છે.
IGMDP(Integrated Guided Missile Development Programme)
ભારતના લોકલાડીલા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. A P J અબ્દુલ કલમએ IGMDPની સ્થાપના કરી હતી. તેણે અગ્નિ ૧, અગ્નિ ૨, અગ્નિ ૩, અગ્નિ ૪, અગ્નિ ૫, ત્રિશુલ, આકાશ, નાગ, પૃથ્વી, બ્રહ્મોસ, નિર્ભય, સાગરિકા, ધનુષ, અસ્ત્ર, પ્રહાર જેવી મિસાઈલ્સનું નિર્માણ અને સફળ પરીક્ષણ કર્યું. આ પૈકી અગ્નિ 5 એ સૌથી અગત્યની મિસાઈલ છે. તે ૧.૫ ટનનો પરમાણુ બોમ્બ ઉચકીને બીજા ખંડમાં આવેલા દેશ સુધી ફેંકી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
DRDO ઈસરો જેટલી સફળ સંશોધન સંસ્થા કેમ નથી?
ઈસરો ભારતના રત્ન સમાન સંસ્થા છે જે પોતાના પ્લાનિંગ જેટલા બજેટ અને સમયમાં સફળતાપૂર્વક પોતાના પ્રોજેક્ટ્સ પુરા કરે છે. ચંદ્રયાન ૨ જેવી નિષ્ફળતાઓ ઈસરોને ભાગ્યે જ મળે છે. જેની સામે કમનસીબે DRDOના ઘણા પ્રોજેક્ટ્સ વિવિધ કારણોસર પુરા નથી થઇ શકતા અથવા તેમને મળતા ફંડ અટકી જાય છે અથવા તેઓ સમયસર જરૂર હોય તેવી પ્રોડક્ટ આપી નથી શકતા જેના માટે ઘણું કરીને સરકાર અને તંત્ર જવાબદાર છે.
2016-2017ની સુરક્ષાની સ્ટેન્ડિંગ કમિટીએ DRDOના હાલના પ્રોજેક્ટ્સને મળી રહેલા જરૂરિયાત કરતા ઓછા ફંડ માટે ફરિયાદ કરી હતી.
સરકારે DRDOને કરેલા ફંડના વચનો પુરા ન કરી શકતા ઘણા ભવિષ્યના પ્રોજેક્ટ અધ વચ્ચે અટકી જાય છે.
DRDOમાં સ્ટાફ અને માનવ સંસાધનોની કમી છે. તેમનો સેના સાથેનો સંવાદ પણ આ કારણોસર બરાબર થઇ શકતો નથી.
DRDO પ્રોજેક્ટના ખર્ચનો અંદાજ આપવામાં નિષ્ફળ જાય છે અને ઘણી વખત ખર્ચ નક્કી કરેલ રકમ કરતા ઘણો વધી જાય છે. આ કારણે પ્રોજેક્ટ સમય મર્યાદા કરતા ઘણો વધારે લાંબો ખેંચાઈ જાય છે .
DRDOની હાજરીના ૬૦ વર્ષ પછી પણ ભારત વિશ્વમાં સૌથી વધુ હથિયારોની આયાત કરે છે. સ્ટોકહોમ રીસર્ચના અહેવાલ અનુસાર વૈશ્વિક આયાત થતા હથિયારો માંથી આશરે ૧૨% હથિયારો ભારત ખરીદે છે.
ભારતના સફળ મિસાઈલ મિશન્સ સિવાય DRDOએ ઘણા નિષ્ફળ પ્રોજેક્ટ્સ બંધ કરી દીધા અથવા વચ્ચેથી અટકાવી દીધા છે. કાવેરી એન્જીન પ્રોજેક્ટ ૧૬થી વધુ વર્ષ મોડો ચાલી રહ્યો છે અને તેનો ખર્ચ અંદાજ 800 ટકાથી વધુ વધી ગયો છે.
CAGએ DRDOની ક્ષમતાઓ ઉપર ૨૦૧૧માં ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
આ ઉપરાંત CAGએ એક ચિંતાજનક રિપોર્ટમાં જણાવ્યું હતું કે DRDOની બનેલી ઘણી બધી પ્રોડક્ટ ભારતીય સેનાને વાપરવા યોગ્ય નથી હોતી. ૧૫ વર્ષમાં આશરે ૩૨૦ કરોડ રૂપિયાની DRDOની ભારતીય સેનાએ ઠુકરાવી દીધી છે.
DRDO આજની તારીખે પણ બીજા વિશ્વયુદ્ધના હથિયારોને વધુ અપડેટ કરી રહી છે જેના બદલે તેણે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અને નવી સિસ્ટમનું નિર્માણ કરીને હથિયારો બનાવવાની વધારે જરૂર છે.
સરકારે DRDOના વિકાસ માટે શું કરવાની જરૂર છે?
સુરક્ષા મંત્રાલયે DRDO પાસેથી અત્યાર સુધીના તમામ બંધ થઇ ગયેલા પ્રોજેક્ટ્સ અને હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સનો એક રિપોર્ટ મંગાવવો જોઈએ. એ પ્રોજેક્ટ્સ કેમ બંધ થયા, તેમનું ફંડિંગ કેમ બંધ થયું, તેમનો ખર્ચનો અંદાજ કેટલો હતો અને હાલના પ્રોજેક્ટ્સની શું સ્થિતિ છે તે જાણીને પછી આર્થીક અને ટેકનોલોજીની દ્રષ્ટીએ ખૂટતા તમામ સંસાધનો DRDOને તાત્કાલિક પહોચાડવા જોઈએ જેથી આ પ્રોજેક્ટ્સ જલ્દીથી જલ્દી પુરા કરી શકાય.
DRDOના R&D એટલે કે રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રોની કંપનીઓ સરળતાપૂર્વક ઈન્વેસ્તમેન્ટ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેમનું સંશોધન કાર્ય અટકે નહિ.
DRDOના કોઈ ભવિષ્યના પ્રોજેક્ટની જાહેરાત થાય તે સાથે જ મીડિયા અને લોકોમાં તેનો પ્રચાર અને ચર્ચા ચાલુ થઇ જાય છે અને આ મુદ્દાને દેશપ્રેમ અને દેશભક્તિમાં ખપાવી દેવાય છે. આવા પ્રોજેક્ટ્સ જ્યાં સુધી પુરા ન થાય ત્યાં સુધી તેની ખોટી ચર્ચા ન થાય અને સંપૂર્ણ ધ્યાન પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણમાં આપવામાં આવે એ જરૂરી છે.