મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળાઓ દ્વારા વી.એસ. હોસ્પિટલના પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે ભવ્ય એસવીપી હોસ્પિટલ બનાવાઇ છે. જોકે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલનું ઉતાવળે લોકાર્પણ કરાયું હોવાનો વિવાદ તે વખતે ગાજ્યો હતો.
આ ઉપરાંત ગરીબોની હોસ્પિટલ ગણાતી વી.એસ. હોસ્પિટલની કુલ ૧૧પપ પથારી એસવીપી હોસ્પિટલ ચાલુ થવાથી ઘટાડી પ૦૦ પથારી કરવાના તંત્રના નિર્ણયના પગલે ભારે હોબાળો મચ્યો હતો. અમદાવાદીઓને એશિયાની સર્વોત્તમ મેડિકલ સારવાર એસવીપી હોસ્પિટલ મારફતે પૂરી પાડવાનો તંત્રનો તે વખતનો દાવો પોકળ ઠર્યો છે.
કેમ કે, આ હોસ્પિટલમાં તાજેતરમાં જ આ ફુલ્લી મોટરાઇઝ બેડની લાખોના ખર્ચે ખરીદી કરવાનો વિવાદ ઊઠ્યો હતો. શાસકોએ ૩૭૧ બેડની ખરીદી પર આ બેડ હલકી ગુણવત્તાના હોવાની આશંકાએ તેની ખરીદીની દરખાસ્તને રોકી હતી.
ઘાટલોડિયાના રમેશ પટેલ કહે છે મારા એક સંબંધીને પાંચમે માળે આવેલા સી-૧ જનરલ વોર્ડમાં દાખલ કરાયા છે. પરંતુ આ વોર્ડમાં બે અઢી દિવસે પણ પાણી નથી આવતું. કાયમ બાથરૂમ ગંદા અને ટોઇલેટ ઊભરાતાં હોય છે. કૂલર પાસે પણ ગંદકી હોય છે.
ખાસ તો ડોકટરોનાં ઉદ્ધત વર્તનથી દર્દી અને તેમના સંબંધી પરેશાન છે. ડોકટર ક્યારે વિઝિટ લઇને જાય છે. તેની ખબર જ પડતી હતી. વોર્ડમાંના નર્સિંગ સ્ટાફ સહિતનો પેરામેડિકલ સ્ટાફ પણ એક પ્રકારે ઉદાસીન વર્તન દાખવે છે.
ફિઝિયો થેરાપિસ્ટ ડોકટર પણ રૂટિન શૈલીમાં દર્દીનો ઉપચાર કરે છે તેવી ફરિયાદો પણ ઊઠી છે. ગઇ કાલે બી-ર વોર્ડની પીઓપીની છત તૂટી પડતાં તમામ દર્દીઓને પાંચમા માળે ખસેડાયા હતા અને બી-ર વોર્ડને બંધ કરી દેવાયો હતો. એટલે એસવીપી હોસ્પિટલના કામમાં કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે.