તાંડવની સાથે મિર્ઝાપુરના નિર્માતાઓ પર પણ સંકટનાં વાદળો ઘેરાયા. મિર્ઝાપુર સિરીઝનાં નિર્માતાઓ પર મિર્ઝાપુર વિસ્તારની છબી ખરાબ કરવાનાં આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામં આવ્યો છે કે એક યુવકને બીજા રાજ્યમાં એટલે નોકરી ના મળી કેમકે તે મિર્ઝાપુરનો રહેવાસી છે.
એક યુવાનને મિર્ઝાપુરનો હોવાને લીધે બીજા રાજ્યમાં નોકરી ના મળી હોવાનો આરોપ
મિર્ઝાપુરનાં નિર્માતાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે નોટીસ જાહેર કરી
ઓટીટી પ્લેટફોર્મનાં કન્ટેન્ટ પર નિયંત્રણની માંગની ફરિયાદ સાથે સુનાવણી કરાશે
એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી લેટેસ્ટ સિરીઝ તાંડવને લઈને વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હવે મિર્ઝાપુરનાં નિર્માતાઓને સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી છે. એક માહિતી અનુસાર ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુર જિલ્લાનાં ચિલબિલિયા ભુઈલીનાં રહેવાસી અરવિંદ ચતુર્વેદીએ મિર્ઝાપુરનાં સિરીઝનાં નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત કોર્ટે નોટીસ ફટકારતા કહ્યું છે આ કેસની સુનાવણી બધા ઓટીટી પ્લેટફોર્મનાં કન્ટેન્ટ પર નિયંત્રણની માંગની ફરિયાદ સાથે કરવામાં આવશે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામા સુબ્રમણ્યમની બેન્ચે નોટીસ જાહેર કરી છે.
મિર્ઝાપુરને ખોટી રીતે ચીતરવાનો આરોપ
લોકોની ફરિયાદ છે કે સિરીઝમાં મિર્ઝાપુરને ખોટીરીતે ચીતરવામાં આવ્યું છે. જેનાંથી તેની છબી ખરાબ થઈ છે અને ત્યાનાં સ્થાનિય લોકોની ધાર્મિક, ક્ષેત્રિય અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે અંગે મિર્ઝાપુરની વેબ સિરીઝ સાથે જોડાયેલા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ભૌમિક ગોડલિયા તેમજ એમેઝોન પ્રાઇમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
રિલીઝ સમયે પણ વિવાદોમાં ઘેરાઈ હતી
ઉલ્લેખનીય છે કે જ્યારે ઓક્ટોબર મહિનામાં મિર્ઝાપુર વેબ સિરીઝની બીજી સિઝન રિલીઝ થઈ હતી ત્યારે પણ તે ખૂબ વિવાદોમાં ઘેરાઈ હતી અને સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવાની માંગ પણ ઉઠી હતી.