આયકર વિભાગે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન એક વર્ષ માટે લંબાવી દીધી છે પરંતુ હવેથી તેની માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે કે જે અત્યાર સુધી ન હતો.
CBDTએ PAN-Aadharને લઇને જાહેરનામું બહાર પાડ્યું
30 જૂન 2022 બાદ વધુ ચાર્જ ચૂકવવો પડશે
PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે લંબાવાઇ
PAN-Aadhaar Linkની વેલિડિટી એક વર્ષ માટે લંબાવાઇ
આવકવેરા વિભાગ (Income Tax Department) માટે નીતિ બનાવનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે લંબાવીને 31 માર્ચ 2023 કરી દીધી છે.
CBDT એ બુધવારે મોડી સાંજે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે, કરદાતાઓને પડતી અસુવિધાને ઓછી કરવા માટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, આવું ચોથી વખત થયું છે કે જ્યારે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી હોય.
PAN કામ કરવાનું ચાલુ રાખશે
જે લોકોના પાનકાર્ડને અત્યાર સુધી આધાર સાથે લિંક કરવામાં નથી આવ્યું, તેઓ CBDTની આ નવી વ્યવસ્થા બાદ તેઓનું પાનકાર્ડ 31 માર્ચ 2023 સુધી કામ કરવાનું ચાલુ રાખશે. આ રીતે ઈન્કમટેક્સ રિટર્ન ભરવાથી લઈને રિફંડ મેળવવા સુધી પહેલાંની જેમ જ તેનો ઉપયોગ કરી શકાશે.
હવેથી મફત સેવા ખતમ, ચૂકવવો પડશે આટલાં રૂપિયા ચાર્જ
અત્યાર સુધી કરદાતાઓએ આ કામ માટે કોઈ પણ પ્રકારનાં પૈસા ચૂકવવાની જરૂર ન હોતી પડતી. પરંતુ હવેથી આ 'ફ્રી સર્વિસ' બંધ કરી દેવાઇ છે. આવી સ્થિતિમાં, જો કોઈ કરદાતા 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2022 વચ્ચે તેનું PAN-આધાર લિંક કરાવે છે તો તેણે 500 રૂપિયા અને ત્યાર બાદ રૂપિયા 1000નો ચાર્જ ચૂકવવો પડશે.