બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / કોરોના હોય કે કોમી રમખાણો, માણેકચોકમાં ક્યારેય નથી આવતી મંદી, કારણ કે વરસી રહી છે આ બાબાની કૃપા
Last Updated: 10:25 AM, 26 February 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્વ. શ્રી આદિલ મન્સૂરીની આ ગઝલ અમદાવાદના સ્થાપના દિવસે યાદ આવી જ જાય છે. અમદાવાદનો ઉલ્લેખ જેમ કાંકરિયા વગર અધૂરો છે, જેમ ભદ્ર વગર અધૂરો છે એમ માણેકચોક વગર પણ અધૂરો છે. અમદાવાદીઓ તો રોજેરોજ માણેકચોકમાં નાસ્તો કરવા, ચટાકેદાર વાનગીઓ ખાવા ઉમટી જ પડે છે, પરંતુ બહારગામથી આવતા લોકો કે અમદાવાદ ફરવા આવતા વિદેશીઓ પણ માણેકચોકને પોતાના લિસ્ટમાં મૂકીને આવે છે કે માણેકચોકમાં એકવાર તો જવું જ છે. આજે તો માણેકચોક સૌથી વધારે પોતાના નાસ્તા માટે ફેમસ છે. ગોટાળા ઢોસાની સુગંધ, પાઈનપલ ચોકલેટ આઈસક્રીમ સેન્ડવીચ અને ઘૂઘરા સેન્ડવીચથી લઈને ભાજીપાંઉનો સ્વાદ લોકોને દાઢે વળગે છે.
ADVERTISEMENT
જો કે, માણેકચોક ખાણીપીણીનું બજાર હોવાની સાથે સાથે મૂળ તો સોનીબજાર પણ છે. એટલે જ કહેવાયું છે, દિવસે અહીંયા સોની બેસે, રાત્રે ખૂમચાવાળો, અમદાવાદ બતાવું ચાલો. માણેકચોક 24 કલાક ધમધમતું બજાર છે. દિવસે સોની બજાર ભરાય છે, રાત્રે નાસ્તાવાળા અને મજાની વાત એ છે કે અહીંયા ક્યારેય મંદી નથી આવી. કોરોનામાં દુનિયા ભલે અટકી પડી હોય, કોમી રમખાણોમાં કરફ્યુ ભલે લાગ્યા હોય, નોટબંધીમાં ભલે લોકો પાસે કેશ ન હોય, પરંતુ માણેકચોકમાં ધંધો કરતા વેપારીઓની આવક ક્યારેય અટકી નથી. કારણ કે માણેકચોક પર માણેકબાબાના આશીર્વાદ છે.
ADVERTISEMENT

માણેકચોકના જ્વેલરી અસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી આશિષ ઝવેરીના કહેવા પ્રમાણે 130 કરતા વધુ વર્ષથી માણેક ચોકનું જ્વેલરી અસોસિયેશન કાર્યરત છે. 1896થી આજ સુધી માણેકચોકમાં ધંધો કરતા વેપારીઓને આવકને લઈને કોઈ તકલીફ પડી નથી. તેમના કહેવા પ્રમાણે અહીં જે પણ વેપારી ધંધો કરવા આવે તે કરીને જ જાય છે. કારણ કે માણેકબાબાના આશીર્વાદ છે. એક લોકવાયકા પ્રમાણે માણેકચોક જેના નામ પરથી બન્યું તે માણેકબાબાના આશીર્વાદ અને તેમની હયાતીને કારણે માણેકચોકને કોઈ મંદી નથી નડતી.
ADVERTISEMENT
નાનકડી રેંકડી લઈને ઉભેલો ખૂમચાવાળો હોય કે ફેરિયો કે પછી દુકાન જમાવીને બેઠેલા સોની વેપારીઓ, ક્યારેય કોઈ વેપારીને ભૂખ્યા સુવું પડ્યું હોય તેવી નોબત આવી નથી. જેમ અમદાવાદ પર માં લક્ષ્મીના આશીર્વાદ છે, એમ માણેક ચોક પર માણેકનાથ બાબાના આશીર્વાદ છે.

ADVERTISEMENT
જો તમે ક્યારેક પણ માણેકચોક ગયા હશો તો માણેકબાબાની સમાધિ જોઈ જ હશે અને જો તમે પાક્કા અમદાવાદી હશો તો તમને માણેકબાબાની કથા પણ ખબર હશે. હા એ જ ગોદડિયાબાવા. બાબા માણેકનાથ અહેમદશાહના જમાનામાં થઈ ગયા. કહેવાય છે કે અહેમદશાહે જ્યારે અમદાવાદનો કિલ્લો ચણાવાની શરૂઆત કરી ત્યારે રોજ સવારે બનેલી કિલ્લાની દિવાલ રોજ રાત્રે ધરાશાયી થઈ જતી હતી. આખરે બાદશાહે તપાસ કરાવી તો ખબર પડી કે કોક બાબા છે જે રોજ સવારે ગોદડી સીવે છે અને રોજ રાત્રે તેનો દોરો ખેંચી લે છે, જેના લીધે કોટની દિવાલ પડી જાય છે.

બાદશાહે માણેકબાબાની સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા અને કહ્યું કે બાબા તમે બીજા કયા ચમત્કાર કરી શકો છો. તો બાબાએ કહ્યું નાળચાવાળા લોટાના મોંઢેથી દાખલ થઇને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા બાબા માણેકનાથ જેવા લોટમાં દાખલ થયા કે બાદશાહે લોટાને મોંઢે તથા નાળચે હાથ દઇને બંધ કરી દીધો ત્યારે. અકળાયેલા બાબા માણેકનાથે બાદશાહને કહ્યું મને બહાર કાઢ. બાદશાહે કહ્યું બહાર કાઢું તો તમે કોટ પાડી નાખો. આખરે બાબાએ કહ્યું,‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. એ પ્રમાણે ચર્ચા કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પડ્યું. આજે પણ સોની વેપારીઓ દિવસ શરૂ કરતા પહેલા માણેકનાથ બાબાના દર્શન કરીને આશીર્વાદ લે છે.
જો કે, અમદાવાદને 614 વર્ષ થયા, અત્યાર સુધી અનેક વેપારીઓએ માણેકચોકમાં ધંધો શરૂ કર્યો છે, વિકસાવ્યો છે અને કરોડપતિ થયા છે. અમદાવાદના ઈતિહાસને ઉજાગર કરવા માટે કામ કરી સંસ્થા ધ દૂરબીનના ફાઉન્ડર પાર્થ શર્માનું કહેવું છે કે 14મી 15મી સદીમાં ગુજરાત સહિત ભારત પાસે તેજાના, ગરમ મસાલા ખૂબ જ હતા. આ બધું જ એક્સપોર્ટ થતું, હવે ત્યારે કરન્સી તો હતી નહીં, એટલે વિદેશી વેપારીઓ તેજાનાના બદલામાં સોનું, ચાંદી, ઝવેરાત આપતા. આ જ ઝવેરાતને વેચાણ માટે માણેકચોક અસ્તિત્વમાં આવ્યું અને ધીરે ધીરે અહીં સોની બજાર સ્થપાયું. આજના સમયે પણ માણેકચોક ભારતનું બીજા નંબરનું સૌથી મોટું જ્વેલરી માર્કેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.