ધારી વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હવે ભાજપ દ્વારા મોટા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં અમરેલીમાં આજે ચલાલા ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિજય વિશ્વાસ સંમેલન શંભુપ્રસાદ ટૂંડિયાની આગેવાનીમાં યોજાયું હતું જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં હતાં.
આ પ્રસંગે અમરેલી જિલ્લાના તમામ ભાજપના નેતા હાજર રહ્યા હતા. ભાજપ નેતા શંભુ પ્રસાદ ટૂંડિયા હસ્તક ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યાર બાદ એક સભા યોજવામાં આવી હતી. આ સભા દરમ્યાન ભીડ પણ જોવા મળી હતી અને ખુલ્લેઆમ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું ભંગ થતું દેખાયું હતું.
મહત્વનું છે કે ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે એટલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી જીત માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. જેના પરિણામે ધારી વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ દ્રારા સતત સભાઓ અને બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકોમાં મોટાભાગના લોકો કોવીડ 19 ગાઈડ લાઈનનો ભંગ કરતા નજરે પડે છે.
ગઈ કાલે PM મોદીએ દેશના લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી હતી
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે PM મોદીએ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું જેમાં ખાસ કરીને લોકોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું તેમ જ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. તેમણે આગામી દિવસોમાં તહેવારોમાં લોકો આ નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી. જો કે ચૂંટણીમાં નેતાઓ પણ સંયમ રાખે તેના વિશે કોઈ પણ ઉલ્લેખ ન કરતા બીજી બાજુ લોકોની નારાજગી પણ જોવા મળી હતી.
જો કે આ પહેલી વખત નથી કે રાજકીય નેતાઓએ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ભંગ કર્યો હોય. અગાઉ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા થતાં કાર્યક્રમોમાં ભારે ભીડ જોવા મળી છે. ભારે ટીકા અને મીડીયામાં ખુલ્લેઆમ દ્રશ્યો જોવા મળવા છતાં પણ આ નેતાઓને કોઈ ફરક પડતો હોય તેવું લાગતું નથી. PM મોદીએ પોાતના ભાષણમાં કહ્યું હતું કે લૉકડાઉન ગયું છે પરંતુ કોરોના વાયરસ નહીં. એટલે હજુ બેદરકારી ન દાખવતા. આવામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની રાજકીય રેલીઓ જોઈને તો એવું લાગી રહ્યું છે કે સામાન્ય પ્રજા માટે હજુ કોરોના રહ્યો છે પરંતુ ભાજપ માટે કોરોના જતો રહ્યો છે.