કિંગસ્ટન (જમૈકા) : આજથી જમૈકાના સબીના પાર્ક ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાવા જઈ રહી છે. ભારતીય ટીમ તરફથી ઓપનર મુરલી વિજયના સ્થાને કે. એલ. રાહુલને તક આપવામાં આવી છે. ભારતીય ટીમના મીડિયા મેનેજરના જણાવ્યા પ્રમાણે એન્ટિગુઆ ટેસ્ટ વખતે મુરલી વિજયને અંગુઠામાં ઇજા થઈ હતી તેને પગલે રાહુલને ઓપનિંગ જોડીમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો હોવાથી ટીમનું મનોબળ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ જીતવા માટે દૃઢ છે. ભારતે એન્ટિગુઆ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 92 રને જીતી હતી. આ સાથે ભારત 1-0 થી આગળ ચાલી રહ્યું છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે 'અમે હરીફ ટીમ પર વધારે ધ્યાન આપી રહ્યા નથી પરંતુ અમે ખુશ છીએ કે ક્રિકેટ પીચ બાઉન્સવાળી અને બોલ કેરી કરે તેવી છે. એન્ટિગુઆ ટેસ્ટમાં ઠીકઠાક પ્રમાણમાં બાઉન્સી પીચ હતી જેના લીધે અમને મદદ મળી હતી. જોકે જમૈકામાં વધારે સારું રહેશે. આ ગ્રાઉન્ડ પરિણામ લક્ષી ગ્રાઉન્ડ છે અને અમે એ બાબતે ઘણા ઉત્સાહી છીએ. અમારી પાસે બોલિંગમાં સારી પેસ છે અને હાલમાં ભારતીય બોલરો સારો દેખાવ કરી રહ્યા છે.'
સબીના પાર્કનો ઇતિહાસ છે કે ત્યાં 1998 ભારતીય ટીમ 63 રને જીત્યા બાદ એક પણ મેચ ડ્રોમાં પરિણમી નથી. છેલ્લે 2011માં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝના સબીના પાર્ક ખાતે ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય કેપ્ટને બીજી ટેસ્ટ માટે ટીમમાં જૂજ ફેરફારો કર્યા છે જેમાં માત્ર મુરલી વિજયના સ્થાન માટે ફેરબદલ કરવામાં આવી છે.