મોદી રાજમાં ઈકોનોમીને વધુ એક ફટકો પડ્યો છે. અહેવાલો અનુસાર વૈશ્વિક મંદીના કારણે ભારતની નિકાસમાં ડિસેમ્બર મહિનામાં ૧.૮૦ ટકાનો ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં નિકાસ ઘટીને ૨૭.૩૬ અબજ ડોલરની થઇ ગઇ છે. આમ, સતત પાંચમાં મહિને નિકાસમાં ઘટાડો ચાલુ રહ્યો છે.
મોદી સરકારમાં ઇકોનોમીને એક પછી એક ઝટકો
નિકાસમાં ડિસેમ્બર મહિનામાં ૧.૮૦ ટકાનો ઘટાડો
સતત પાંચમાં મહિને નિકાસ ઘટીને 27.36 અબજ ડોલર થઇ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર નિકાસ ગઇ સાલ સમાન સમયગાળામાં ૨૭.૮૬ અબજ ડોલર હતી તે ઘટીને હવે ૨૭.૩૬ અબજ ડોલર થઇ ગઇ છે. એપ્રિલ-ડિસેમ્બર-૨૦૧૯-૨૦ના છ મહિના દરમિયાન નિકાસ ૧.૯૬ ટકા ઘટીને ૨૩૯.૨૯ અબજ ડોલર થઇ ગઇ છે, જ્યારે આયાત ૮.૯ ટકા ઘટીને ૩૫૭.૩૯ અબજ ડોલર જોવા મળી છે.
તેના પગલે દેશની વ્યાપારખાધ આ સમયગાળા દરમિયાન ૧૧૮.૧૦ અબજ ડોલર રહી છે. ડિસેમ્બર મહિનામાં ભારતની આયાત પણ ૮.૮૩ ઘટીને ૩૮.૬૧ અબજ ડોલર રહી છે, જ્યારે વ્યાપારખાધ ૧૧.૨૫ અબજ ડોલર પર આવી ગઇ છે.
ડિસેમ્બર-૨૦૧૮માં વ્યાપારખાધ ૧૪.૪૯ ડોલર હતી. પેટ્રોલિયમ આયાત ૦.૮૩ ટકા ઘટીને ૧૦.૬૯ અબજ ડોલર, જ્યારે સોનાની આયાત ચાર ટકા જેટલી ઘટીને ૨.૮૬ અબજ ડોલર પર રહી હતી.