આજે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 73 મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948માં નાથુરામ ગોડસેએ 3 ગોળી મારીને બાપુની હત્યા કરી નાખી હતી. જાણો આખરે ગોળી માર્યા બાદ ગોડસેએ શું કહ્યું હતું.
`નમસ્તે' કહીને ધડાધડ ગોળીઓ ધરબી દીધી
ગોડસેએ શું આપી હતી જુબાની?
સરદારને કેમ બોલાવ્યા હતા ગાંધીજીએ!
આજના દિવસે 1948માં નવી દિલ્લી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી. ગોળી વાગતા જ બાપુ ઢળી પડયા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા.
સોશિયલ મીડિયા પર ગાંધીજી વિશે તરેહ તરેહની વાતો થતી જોવા મળે છે. કોઈ તેમના સમર્થનમાં તો તેમના વિરોધમાં પોતાની ટીપ્પણીઓ કરતા આવ્યા છે ત્યારે આજની પેઢીના લોકો ગાંધીજી વિશે વિસ્તારપૂર્વક જાણવા સમજવા માંગે છે. આખરે એવું તો શું થયું હતું તે ગોઝારા દિવસે કે નાથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીઓ ચલાવી હતી. પ્રશ્ન થાય કે, આખરે કેવી રીતે નાથુરામ ગોડસે બિરલા ભવનમાં લોકોની ભીડ વચ્ચે બાપુ સુધી પહોંચ્યા? તેમના પ્રખર અનુયાયીએ કેમ ગાંધીજીનો જીવ લીધો ?
સરદારને કેમ બોલાવ્યા હતા ગાંધીજીએ!
30 જાન્યુઆરી 1984ના રોજ સમી સાંજના સુમારે 4 વાગ્યાની આસપાસની આ ઘટના છે. રોજની જેમ બિરલા ભવનમાં સાંજે 5 વાગ્યે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. ગાંધીજી જ્યારે પણ દિલ્હીમાં હોય ત્યારે આ પ્રાર્થના સભામાં હાજરી આપવાનું ચુકતા નહોતા. એ વાતમાં કોઈ શંકા નથી કે બાપુ પોતાના મનની મૂંઝવણો સરદાર પટેલ સામેં વ્યક્ત કરતા હતા. તે દિવસે પણ ગાંધીજીએ સરદાર પટેલને આવી જ કોઈ વાતચીત કરવા માટે સાંજે 4 વાગ્યે બોલાવ્યા હતા.
સરદાર પટેલ સાથે વાત અધુરી રહી
સરદાર પટેલ તેમની દીકરી મણીબેન સાથે 4 વાગ્યે ગાંધીજીને મળવા માટે પહોંચી ગયા હતા. ગાંધીજીને સરદાર પટેલ સાથે પ્રાર્થનાસભા બાદ પણ વાતચીત કરવા માટે રોકાવાનું કહ્યું હતું પરંતુ નિયતિને કદાચ આ મંજુર નહોતું. ગાંધીજી પટેલ સાથેની બેઠકમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક ગાંધીજીની નજર ટીકટીક કરતી ઘડિયાળ પર પડી અને એમને યાદ આવ્યું કે, પ્રાર્થના સભાનો સમય થઈ ચુક્યો છે. ત્યારબાદ સરદાર ત્યાંથી ચાલી નીકળ્યા હતા. પટેલના ત્યાંથી નીકળી ગયા બાદ ગોડસેએ ગાંધીજી પર ધડાધડ ગોળીઓ ચલાવી દીધી અને અને બાપુની સરદાર પટેલ સાથેની વાતો હંમેશના માટે અધૂરી જ રહી ગઈ.
`નમસ્તે' કહીને ધડાધડ ગોળીઓ ધરબી દીધી
બેઠક પૂરી કર્યા બાદ બાપુ આભા અને મનુના ખભા પર હાથ મુકીને પ્રાર્થના સભામાં જવા માટે પ્રયાણ કરી રહયા હતા અને અચાનક નાથુરામ ગોડસે તેમની સામે આવી ગયા. ગાંધીજી નજર સામે જોઈને હાથ જોડીને કહ્યું " નમસ્તે બાપુ ". ત્યારે જ બાપુ સાથે ચાલતા મનુબેને કહ્યું કે, " ભાઈ સામેથી હટી જાઓ, બાપુને જવા દો , આમ પણ પહેલેથી જ મોડું થઇ ચૂક્યું છે " . ત્યારે સમય હતો 5.17નો. ગોડસેએ પહેલા તો મનુબેનને ધક્કો માર્યો અને પોતાના હાથમાં સંતાડી રાખેલી બૈરેટા પિસ્તોલ ગાંધીજી સામેં મૂકી દીધી અને જોતજોતામાં ગાંધીજીની છાતીમાં એક પછી એક 3 ગોળીઓ હૃદય સોંસરવી ઉતારી દીધી. તેમાંની 2 ગોળીઓ તો બાપુની છાતી ચીરીને આરપાર નીકળી ગઈ હતી અને 1 ગોળી બાપુની છાતીમાં જ ફસાઈ ગઈ જેથી બાપુ ત્યાં જ ઢળી પડયા.
ગોડસેએ શું આપી હતી જુબાની?
ગાંધીજીની હત્યા બાદ નાથુરામે આપેલા પોલીસ નિવેદનમાં પહેલા ગાંધીજીની હત્યામાં માત્ર પોતાનો જ હાથ હોવાનું રટણ કર્યુ હતુ પરંતુ પછીથી તેણે આ કામમાં પોતાના નાના ભાઈ ગોપાલનું પણ નામ સામેલ કર્યું હતું.
ત્રીજી ગોળી વાગી અને ગાંધીજી ત્યાં ઢળી પડયા
ગોડસેએ પોતાનો અપરાધ સ્વીકારતા કહ્યું હતું કે, " શુક્રવારની સાંજે 4.50 વાગ્યે હું બિરલા ભવનના ગેટ પર પહોંચી ગયો હતો. હું 4-5 લોકોના ટોળા વચ્ચે ઘૂસીને સિક્યોરિટીની આંખમાં ધૂળ નાખવામાં સફળ રહ્યો હતો. મેં ભીડમાં પોતાની જાતને છુપાવી રાખી હતી જેથી કોઈને પણ મારી પર શંકા ન જાય" . તેણે જણાવ્યું હતું કે, સાંજે 5.10 વાગ્યે મેં ગાંધીજીને પોતાની ઓરડીમાંથી પ્રાર્થનાસભામાં જતા જોયા હતા. તે સમયે ગાંધીજીની આજુબાજુમાં 2 છોકરીઓ હતી કે જેમના ખભા પર હાથ મુકીની ગાંધીજી આગળ ચાલી રહયા હતા. તેમને મારી સામે આવતા જોઈને મેં ગાંધીજીને તેમના મહાન કાર્યો માટે હાથ જોડયા અને તે બંને છોકરીઓને ધક્કો મારીની ગાંધીજી પર ગોળીઓ વરસાવી દીધી હતી. જો કે હું માત્ર 2 ગોળીઓ જ મારવા ઈચ્છતો હતો પરંતુ ત્રીજી ગોળી પણ વાગી ગઈ અને ગાંધીજી ત્યાં ઢળી પડયા" .
હું ખુદ પોલીસ પોલીસ કહીને બૂમો પાડી રહ્યો હતો
ધરપકડ બાદ ગોડસેએ કહ્યું કે, " જ્યારે એક પછી એક 3 ગોળીઓ ગાંધીજીને મારી ત્યારબાદ તેમની આસપાસ ઉભેલા બધા લોકો દૂર ખસી ગયા. મેં સરેન્ડર માટે બંને હાથ પણ ઉપર કર્યા પરંતુ કોઈની મારી પાસે આવવાની હિંમત થઇ નહીં. પોલીસવાળા પણ દૂર ઉભા રહીને જ આ બધું નિહાળી રહયા હતા. હું ખુદ પોલીસ પોલીસ કહીને બૂમો પાડી રહ્યો હતો. આશરે 5-6 મિનિટ પછી એક વ્યક્તિ મારી પાસે આવ્યો ત્યારબાદ મારી સામે ભીડ એકઠી થઇ ગઈ અને લોકો મારા પર તૂટી પડ્યા " .
ગાંધીજી અહિંસાના પૂજારી હતા પણ...
સાંજે 6 વાગ્યા પછી મહાત્મા ગાંધીજીની હત્યાના સમાચાર ગણતરીની મિનિટોમાં આગની જેમ ફેલાય ગયા. બિરલા ભવનમાં જ ગાંધીજીના પાર્થિવ દેહને ઢાંકીને રાખવામાં આવ્યો. ગાંધીના નાના મોટા અનુયાયીઓ ત્યાં પહોંચી આવ્યા અને તેઓએ ગાંધીજીના શરીર પરથી કપડા હટાવી લીધા. તેમનું માનવું હતું કે જિંદગી આખી અહિંસાના પૂજારીની સાથે જે હિંસા કરવામાં આવી તેને આખી દુનિયાએ જોવી જોઈએ.
ક્યાં છે ગાંધીજીની FIR
ગાંધીજીની હત્યાની FIR પણ તે જ દિવસે 30 જાન્યુઆરીના દિવસે દિલ્હી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. FIRની કોપી ઉર્દુમાં હતી. જેમાં આખા ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી હતી. દિલ્હી તુગલક રોડના રેકોર્ડ રૂમમાં આજે પણ તે FIRની કોપીના પાના સાચવી રાખવામાં આવ્યા છે.