ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો હાઇ બ્લડપ્રેશર (હાયપર ટેન્શન)થી પિડાય છે. જોકે કેટલાય લોકો એવા છે જેમને લો બ્લડપ્રેશરની સમસ્યા હોય છે. તેમ છતાં આ બિમારીની ચર્ચા ઓછી થાય છે. લો બીપી અનેક કારણોથી થાય છે. જેમ કે ડિહાઇડ્રેશન (શરીરમાંથી પાણી ઓછું થઇ જવુ),તાવ,ડિપ્રેશન અથવા ઉલ્ટી થાય ત્યારે બ્લડ પ્રેશર નીચું જઇ શકે છે. આ સિવાય પણ અનેક કારણો જેના માટે જવાબદાર હોઇ શકે છે. લો બ્લડપ્રેશરને હાઇપોટેન્શન (hypotension) પણ કહે છે.
લો બીપી (Low Blood Pressure) વ્યકિતએ વ્યકિતએ અલગ હોય છે અને તેમાં ઉંમર પણ ભાગ ભજવે છે. લો બીપી રહેતું હોય તેમણે તેમના રોજિંદા ભોજનમાં વિટામિન બી 12,ફાયબરવાળી ચીજો વધુ ખાવી જોઇએ. આ ઉપરાંત કેફિન હોય તેવા ચા-કોફી જેવા પીણા અને જયુસ પણ લો બીપીમાં રાહત આપે છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યકિતને કયારેક લો બીપી થાય તો તે ચિંતાની વાત નથી. પરંતુ વારંવાર બીપી નીચે જતું હોય તો ચેતી જવાની જરુર છે. આવા લોકોએ ડોકટરને મળવું જોઇએ.
લો બીપી માટેના કેટલાક કારણો ગંભીર હોય છે અને તેને અવગણવા જોઇએ નહીં. સગર્ભા મહિલામાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન લો બીપીની સમસ્યા જોવા મળે છે. જોકે તે સામાન્ય ગણાય છે. શરીરમાં લોહીની કમી સર્જાય ત્યારે પણ લો બીપી થાય છે. આંતરિક રકતસ્ત્રાવ,ડિહાઇડ્રેશન,કોઇ બિમારીના કારણે લોહીની કમી થઇ શકે છે. કેટલીક દવાઓ સતત લેવાથી તેની આડઅસરથી બીપી લો થાય છે.
હાઇ બીપી,પાર્કિન્શન્સ,ડિપ્રેશન માટે લેવાતી દવાથી પણ લોહીનું દબાણ નીચુ જાય છે. હદયના વાલ્વની સમસ્યા કે હાર્ટ એટેક આવ્યા બાદ દર્દીને લો બીપી થઇ શકે છે. કેમ કે હદય શરીરની જરુરિયાત મુજબનું લોહી પમ્પ કરી શકતું નથી. અત્યારે મોટી સંખ્યામાં લોકો વિવિધ પ્રકારની એલર્જીથી પણ પિડાય છે. કેટલીક ચીજો ખાવાથી કે દવાની આડઅસરથી પણ એલર્જી થાય છે.
ધુળના રજકણો અને વાતાવરણ બદલાય ત્યારે એલર્જીથી પિડાતા દર્દીઓની તકલીફ વધે છે. ખંજવાળ,ગળામાં સોજો,ઉપરાઉપરી છિંક આવવી એ એલર્જીના લક્ષણો છે. આવા દર્દીઓ પણ સમય જતાં લો બીપીનો ભોગ બને છે. શરીરમાં વિટામિન બી 12 કે ફોલિક એસિડની કમીથી પણ લો બીપી થાય છે.