રૂપિયા 1300 કરોડનાં કૌભાંડમાં ફસાયેલી IL&FS કંપનીને ફરીથી અમદાવાદનો મેટ્રોરેલ પ્રોજેક્ટ સોંપાયો છે. આ પ્રોજેક્ટ 8 મહીના બાદ પુનઃજીવિત કરાયો હોવાથી મોટા ભ્રષ્ટાચારની ગંધ સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારે 2018માં IL&FS પરનાં 91,000 કરોડનાં બેંક દેવાંને કારણે આર્થિક અસ્થિરતા મુદ્દે શક્યતા સેવી હતી.
8 મહિના બાદ ફરી વાર IL&FSને શિરે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ
IL&FS કંપનીએ મજુરોને પૈસા ન ચૂકવી અન્ય કંપનીઓના પણ કામ અટકાવ્યાં
2018માં IL&FS પર બેંકોનું 91,000 કરોડનું દેવું હતું
ફડચાનાં વિવાદો, નાણાંકીય ગેરરીતિ અને અનિયમિતતામાં ફસાયેલી કંપની IL&FSને આખરે 8 મહિના બાદ ફરી વાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ (metro rail project) ની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) અને એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (IECCL)એ રૂ.382 કરોડનાં કોન્ટ્રાક્ટને પુનઃજીવિત કરવાને પરિણામે IL&FS મેટ્રો રેલનાં સેક્શનની કામગીરી હાથ ધરશે.
જાન્યુઆરીમાં રદ થયેલો પ્રોજેક્ટ પર પૂનઃજીવિત
મુંબઇ શેરબજાર સમક્ષ IL&FS ( (Infrastructure Leasing & Financial Services) ગ્રુપ કંપનીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તારીખ 12 સપ્ટેમ્બર 2019થી કામગીરીનું કામનો પુનઃ પ્રારંભ થશે અને બાકી વધેલી કામગીરી 15 મહીનાની અંદર જ પૂર્ણ કરવામાં આવશે. જો કે હજી સુધી આ પ્રોજેક્ટમાં બાકી રહેલી 169 કરોડની કામગીરી કરવાની તો બાકી છે. મહત્વનું છે કે અગાઉ GMRCએ તારીખ 19 જાન્યુઆરી, 2019નાં રોડ કોન્ટ્રાક્ટને રદ કર્યો હતો. પરંતુ હવે IECCL અને GMRC સૂચિત કોન્ટ્રાક્ટ પુનઃજીવિત કરવા સહમત થયા છે.
અન્ય કંપનીએ પ્રોજેક્ટ પડતો મુકતાં IF&LS ફાવી ગઈ
હયાત કોન્ટ્રાક્ટર મેસર્સ J. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, આ પ્રોજેક્ટ આગળ વધારવા અંગે પોતે સક્ષમ ન હોવા અંગે ગત મહીને GMRCને લેખિત જાણ કર્યા પછી IL&FSએ ફરીથી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી જવાબદારી સોંપવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે 2015માં IECCLએ 17.23 કિ.મીનાં ઉત્તર-દક્ષિણ કોરિડોર પર ગ્યાસપુર ડીપોથી શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીનાં 4.62 કિ.મીનાં એલિવેટેડ કોરિડોર માટેનો પ્રોજેક્ટ ફાળવ્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ જ્યારે રદ કરવામાં આવ્યો હતો ત્યારથી જ તેની કામગીરી બંધ રહી છે. જો કે IECCLએ મુંબઇ શેરબજારમાં જણાવ્યું કે તે સમયગાળા માટેનાં ભાવ તફાવત પેટે કોઇ પણ વધારાનાં ક્લેઇમ કરવામાં નહીં આવે.
IL&FSએ અગાઉ પૈસા ન ચૂકવી નવી કંપનીને કામ પણ ન કરવા દીધુ
IL&FSની પુનઃરચના કરાઇ હોવા છતાં આ કંપનીનાં સંચાલકોએ GMRCનાં તત્કાલીન ચેરમેન આઇ.પી. ગૌતમ સક્ષમ એવી રજૂઆત કરી હતી કે, આ પ્રોજેક્ટ તે પૂર્ણ કરવા સક્ષમ નથી. જેથી IL&FSને દૂર કરીને આ કામગીરી જે. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવી હતી. પરંતુ હવે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી IL&FS ગ્રુપ કંપનીને આ પ્રોજેક્ટ ફરીથી સોંપવા મામલે ચીફ જનરલ મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, 'IL&FSએ મજૂરોનાં કોન્ટ્રાક્ટર અને વેપારીઓને નાણાં ન હોતાં ચૂકવ્યાં અને તેથી તેઓ જે. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામગીરી કરવા દેતા ન હોતાં.'
2018માં IL&FS પર બેંકોનું 91,000 કરોડનું દેવું હતું
કેન્દ્ર સરકારે 2018માં IL&FS મુદ્દે સરકારે પોતાની અરજીમાં અગાઉ કહ્યું કે હતું કે, IL&FSને બચાવવી ખૂબ જરૂરી છે. કારણ કે કંપની પર 91 હજાર કરોડનું એકત્રિત દેવું છે જેનો આશરે બે તૃતીયાંશ હિસ્સો સરકારી બેંકોનાં ખાતામાં છે. જ્યારે દેશની બેકિંગ અને નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NVFC) આ દેવાનાં 16% IL&FS પાસે છે. સરકારે વધુમાં કહ્યું કે, ‘ભવિષ્યમાં ગ્રુપ કંપનીઓ દ્વારા લોનની ભરપાઈ નહીં થાય તો દેશની આર્થિક સ્થિરતા પર માઠી અસર પડી શકે છે.’