એક જમાનામાં લાખો-કરોડોનો ભોગ લેનારી ટીબીની બિમારી હવે એટલી ઘાતક નથી રહી તેમ છતાં તેનો વ્યાપ હવે વધી રહ્યો છે. યુરોપિયન રેસ્પરેટરી જર્નલમાં પ્રસિધ્ધ એક અહેવાલ ચિંતાજનક છે. જેમાં જણાવાયું છે કે દુનિયાની ચોથા ભાગની વસ્તી પર ટીબી થવાનો ખતરો તોળાઇ રહ્યો છે.
તેનો અર્થ એ છે કે દર ચારે એક વ્યકિત ટીબીના બેકટેરિયા લઇને ફરે છે જોકે તેનો અર્થ એ નથી કે તે ટીબીનો દર્દી છે. પરંતુ તેને ટીબી થવાનો ખતરો હંમેશા રહે છે અને તે અન્યને ચેપ પણ લગાડી શકે છે. વિશ્વમાં દર વર્ષે એક કરોડ લોકોને ટીબીની બિમારી થાય છે. જેમાંના 20 લાખ લોકો મોતને ભેટે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન 2035 સુધીમાં દુનિયાભરમાંથી ટીબીને નાબુદ કરવા માગે છે. પરંતુ ટીબીનો વ્યાપ જે રીતે છે તે જોતા તે શકય લાગતું નથી. જયાં સુધી ટીબીના બેકટેરિયા સાથેના લોકો કે જેમાં ટીબીનો ચેપ લાગે તેવી શકયતા છે તેમનો સંપુર્ણ ઇલાજ ન થાય ત્યાં સુધી ટીબી નાબુદ થઇ શકશે નહીં. ભારતની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ ટીબીના દર્દીઓ છે. દર વર્ષે 28 લાખ લોકોને ટીબીનો ચેપ લાગે છે.
જયારે લગભગ 4.20 લાખ લોકો મોતને ભેટે છે. એઇડ્સના દર્દીઓને ટીબીનો ચેપ લાગવાનો ખતરો સૌથી વધુ હોય છે. કેમકે તેમની રોગ પ્રતિકારક શકિત બહુ ઓછી હોય છે. દુનિયામાં લોકોના મોત માટેના પ્રથમ દસ કારણોમાં ટીબી પણ એક છે. સારી વાત એ પણ છે કે દર વર્ષે દુનિયામાં નોંધાતા ટીબીના કેસોમાં 2 ટકા જેટલો ઘટાડો નોંધાય છે.
જયારે ચિંતાની વાત એ છે કે મલ્ટીડ્રગ રેજિસ્ટન્ટ ટીબી વધી રહ્યો છે. ટીબીના બેકટેરિયાએ પણ વિવિધ એન્ટીબાયોટિકસ સામે પ્રતિકાર શકિત કેળવી લીધી છે. તેથી એકથી વધુ દવાનો ડોઝ લાંબો સમય લેવો પડે છે.